દેશની રાજધાની દિલ્હીમાં શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે. હવાની ગુણવત્તા ખરાબ શ્રેણીમાં મૂકવામાં આવી છે. હવા પ્રદૂષણના સામનો કરવા માટે ઈમરજન્સી એક્શન પ્લાન લાગુ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ(સીપીસીબી)એ કહ્યું કે, હવાનું પ્રદૂષણ રોકવા માટે સોમવારથી ઈમરજન્સી પ્લાન લાગુ કરવામાં આવશે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થવાના સંકેત મળ્યા બાદ આ પગલાં ભરવામાં આવી રહ્યાં છે.ઈમરજન્સી પ્લાન અર્થાત ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અંતર્ગત શહેરમાં વાયુ ગુણવત્તાના આધાર પર સખથ પગલાં ભરાશે.
મીડિયા રિપોટ્ર્સ અનુસાર હવાની ગુણવત્તા ખરાબ થવાના કારણે કચરો ફેકવાના સ્થળે કચરાને સળગાવવા પર પ્રતિબંધ મૂકાશે. ઈંટ, ભઠ્ઠી અને ફેક્ટરીઓમાં પ્રદૂષણ નિયંત્રણના તમામ નિયમો લાગુ કરાશે. હવાની ગુણવત્તા ખૂબ ખરાબ થવાના કારણે ડીઝલથી ચાલતા જનરેટર મશીનોનો ઉપયોગ કરવા રોક લગાવવામાં આવશે. ઉપરાંત એવા રોડ-રસ્તાની ઓળખ કરાશે, જ્યાં ધુળ વધારે ઉડે છે, ત્યાં પાણીનો છંટકાવ કરાશે.
આ ઉપરાંત જો હવાની ગુણવત્તા ‘ખૂબ ખૂબ ખરાબ થી ખતરનાક’ શ્રેણીમાં આવશે તો હજુ વધારે સખત પગલાં ભરાશે. દિલ્હીમાં ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાશે. સોમવારે હવાની ગુણવત્તાના આધાર પર અન્ય પગલાં ભરાશે. બીજી તરફ સીપીસીબીએ પ્રદૂષણ રોકવા માટે નિયમોનું ચુસ્ત પાલન થાય એ માટે દિલ્હી-એનસીઆરમાં કુલ ૪૧ ટીમો તૈનાત કરી છે.