ઝારખંડ કોલ બ્લોક ફાળવણી કેસમાં દેશના મોટા ઉદ્યોગપતિ અને કોંગ્રેસ નેતા નવીન જિંદાલ સહિત ૧૪ લોકોને જામીન આપવામાં આવ્યા છે. દિલ્હીની પતિયાલા હાઉસ કોર્ટે ઝારખંડના કોલ બ્લોક ફાળવણી મામલામાં નવીન જિંદાલ સહિત ૧૪ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. દિલ્હીની એક સ્પેશિયલ કોર્ટે ઝારખંડ કોલસા બ્લોક ફાળવણી સાથે સંકળાયેલ ગેરરીતિઓના સીલસીલામાં કોંગ્રેસના નેતા અને ઉદ્યોગપતિ નવીન જિંદાલ વિરુદ્ધ લાંચ લેવા માટે દુષ્પ્રેરણા આપવા સહિતના વધારાના આરોપો ઘડયા હતા. સ્પેશિયલ જજ ભરત પરાશરે જિંદાલ વિરુદ્ધ વધારાના આરોપો નિર્ધારિત કર્યા હતા. જોકે જિંદાલે સ્વયંને નિર્દોષ જણાવીને આ ખટલાનો સામનો કરવાની વાત કરી હતી. આ વર્ષે ઓગસ્ટમાં કોર્ટે સમન્સ જારી કરીને જિંદાલ સહિત તમામ આરોપીઓને હાજર થવા આદેશ કર્યો હતો. આ કેસમાં આજે સુનાવણી હાથ ધરીને પતિયાલા હાઉસ કોર્ટે જિંદાલને મોટી રાહત આપી છે અને જિંદાલ સહિત ૧૪ના જામીન મંજૂર કર્યા છે. અદાલતે એપ્રિલ ર૦૧૬માં જિંદાલ, પૂર્વ કોલસા રાજ્ય પ્રધાન દાસરી નારાયણ રાવ, પૂર્વ કોલસા સચિવ એચ.સી ગુપ્તા અને અન્ય ૧૧ લોકો વિરુદ્ધ ગુનાઇત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર અટકાયત કાયદા હેઠળ આરોપ ઘડવા જણાવ્યું હતું. આ મામલો ઝારખંડના અમરકોંડા મુરગાદંગલ કોલસા બ્લોકની ફાળવણીને લગતો હતો.