આગામી ૩૧મી ઓક્ટોબરે સરદારની સૌથી મોટી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણમાં હાજરી આપવાનું આમંત્રણ આપવા રાજ્યના સીએમ વિજય રૂપાણી યૂપીના પ્રવાસે છે. ત્યારે સીએમ યોગી આદિત્યનાથે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની તસ્વીર, કોફી ટેબલ બુક અને ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી.
લખનઉમાં એકતા સંવાદમાં તેમણે કહ્યું કે, સરદાર સાહેબે દેશને જોડવાનું કામ કર્યું હતું, તેને કોઈ તોડી શકે નહીં. જો સરદાર ન હોત તો આજે ભારતનો નકશો જુદો હોત. ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલામાં કોંગ્રેસનો હાથ છે. રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ઇતિહાસ અને વિરાસત આજની પેઢીમાં ઉજાગર ન થાય તે માટે અગાઉની કેન્દ્રની સરકારોએ ઉદાસીનતા દાખવી હતી.
સીએમે કહ્યું કે, દેશની એકતા અને અખંડિતતાને તોડવા માગતા લોકોને સૌ દેશવાસીઓ એક બની નિષ્ફળ બનાવે તે માટે સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ છે. એક પરિવારને મહત્વ આપીને ગાંધીજી સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. સરદારને ભૂલાવી દેવાના પણ ઈરાદા પૂર્વક અનેક પ્રયત્નો કરવામાં આવ્યો હતો. તેમની પાર્લામેન્ટમાં પણ એક તસ્વીર મુકવામાં વિલંબ કરવામાં આવ્યો હતો.
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ઇતિહાસ અને વિરાસત આજની પેઢીમાં ઉજાગર થાય તે માટે અગાઉની કેન્દ્ર સરકારે ઉદાસીનતા દાખવીને આખી પેઢીને દેશ માટે સમર્પણ કરનારા મહાપુરુષોના ઇતિહાસથી વંચીત રાખવાનો જ કારસો કર્યો હતો. આંબેડકરજીના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્વપૂર્ણ સ્થળો લંડનમાં તેમનું અભ્યાસ સ્થળ, જન્મ સ્થળ, દિલ્હીમાં મહાપરી નિર્વાણ સ્થળ સ્મારત, નાગપુર દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈત્ય ભૂમિમાં સ્મારકના નિર્માણ કરવાનો સંકલ્પ પણ વડાપ્રધાન મોદીએ કર્યો છે.
વિજય રૂપાણી ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. આ મુલાકાત પહેલા સ્થાનિક કોંગ્રેસનાં કાર્યકરોએ વિજય રૂપાણીને કાળા વાવટા દર્શાવી પરપ્રાંતિયો પરનાં હુમલાનો વિરોધ કર્યો હતો. જોકે, પોલીસ આ કાર્યકરોની અટકાયત કરી હતી.
કોંગ્રેસનાં મીડિયા કો-ઓર્ડિનેટર રાજીવ બક્ષીએ એવો દાવો કર્યો હતો કે, યુવા કોંગ્રેસ દ્વારા રૂપાણીને કાળા વાવટા બતાવી વિરોધ કર્યો હતો. આમ કરતા, ૧૫૦ કાર્યકરોની ધરપકડ થઇ હતી.