સુરતમાં વધુ એક વખત જીઈબીની બેદરકારી સામે આવી છે, માંગરોળ તાલુકાના પાનસરા ગામે જીઈબીના ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થતા ખેડૂતની સાત વીઘા શેરડી બળીને ખાખ થઈ ગઈ છે. આથી ખેડૂતને લાખોનું નુકસાન થઈ ગયુ છે. થોડા દિવસ અગાઉ માંગરોળના વાસોલી ગામમાં ટોરેન્ટ કંપનીના હાઈટેન્સન વીજ ટાવરમાંથી કરંટ લાગતાં ખેડૂતના મોતની ઘટનાની સ્યાહી સુકાઈ નથી. ત્યાં વીજ કંપનીની વધુ એક બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ નહેરોમાં પાણી નથી કે સળગેલા પાકને બચાવી શકાય ઉપરથી સુગર મિલો પણ હાલ શરુ નથી થઇ જેને લઇને ખેડૂતને મોટું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે.તો બીજી તરફ વીજ કંપનીને આ ટ્રાન્સફોર્મર ખેતર માંથી હટાવવા બાબતે ખેડૂત દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વીજ કંપની દ્વારા આ બાબતે ધ્યાન નહિ આપવામાં આવતા દુર્ઘટના બની હતી. જેનો ભોગ ખેડૂતએ બનવું પડ્યું છે, જોકે વીજ કંપની દ્વારા વળતર બાબતે વીમા કંપની ચુકવણું કરતી હોવાનું જણાવ્યું હતું.