માતબર ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહ હવે ૨૦૦૮ની હિટ ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિક્વલ પણ અર્જુન કપૂરને લઇને બનાવવા માગે છે એવી વાતોને ખુદ વિપુલે રદિયો આપ્યો હતો.
અગાઉ વિપુલે અગ્રીમ હરોળના અભિનેતા અક્ષય કુમાર સાથે નમસ્તે લંડન બનાવી હતી. એની સિક્વલ નમસ્તે ઇંગ્લેંડના મુદ્દે બંને વચ્ચે ગેરસમજ થતાં અક્ષયે સિક્વલ કરવાની ના પાડી હતી એટલે વિપુલે અર્જુન કપૂરને લઇને સિક્વલ બનાવવા માંડી હતી. દરમિયાન એવી વાતો કૉકટેલ સર્કિટમા વહેતી થઇ હતી કે નમસ્તે લંડનની જેમ વિપુલ અર્જુન કપૂરને લઇને સિંઘ ઇઝ કિંગની સિક્વલ બનાવવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા હતા. જો કે આ અંગે મિડિયાએ પૂછપરછ કરતાં વિપુલે કહ્યું કે આવી કોઇ વાત નથી. હું જાણું છું કે સિંઘ ઇઝ કિંગના કોપીરાઇટ્સ મારી અને અક્ષય કુમારની વચ્ચે વહેંચાયેલા છે એટલે અક્ષયની પરવાનગી વિના આ ફિલ્મની સિક્વલ બનાવી શકાય નહીં. મિડિયાએ ઉપજાવી કાઢેલી વાત છે. આ તો મારી અને અક્ષયની વચ્ચે ગેરસમજ વધારવાનો કીમિયો છે. મારું આવું કોઇ પ્લાનિંગ નથી. એણે કહ્યું કે હાલ સિંઘ ઇઝ કિંગની સિક્વલની સ્ક્રીપ્ટ પણ મારી પાસે તૈયાર નથી. એટલે મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટસ્ સાચા નથી. આ કોઇ ગોસિપ કૉલમિસ્ટ્સે ઉપજાવી કાઢેલી વાત છે.