પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાથી ઇકોનોમીને જોરદાર ઝાટકો લાગી શકે છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે આ અંગે મોદી સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ઘટાડવાથી સરકારની આવક જ નહીં ઘટે પરંતુ માર્ચ ર૦૧૯માં સમાપ્ત થતાં નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખાધ (ફીસ્કલ ડેફીસીટ) વધીને જીડીપીના ૩.૪ ટકા સુધી પહોંચી શકે છે.
મૂડીઝ જણાવ્યું છે કે તેનાથી જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓની આવક પર નકારાત્મક અસર પડશે. કારણકે તેમને પ્રતિ લીટર એક રૂપિયાના કાપનો બોજ ઉઠાવવો પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે ગત શુક્રવારે પેટ્રોલ ડીઝલ પર પ્રતિ લીટર પર ૧.પ૦ ઘટાડવાની જાહેરાત કરી હતી.
જેને લઇને સરકારી ખજાનાને રૂ.૧૦,પ૦૦ કરોડના રેવન્યુનું નુકસાન થશે. મૂડીઝે જણાવ્યું હતું કે એકંદરે એક્સાઇઝ ડ્યૂટીમાં કાપ એ ઇકોનોમી માટે નકારાત્મક નિર્ણય છે તેનાથી સરકારનું રેવન્યૂ ઘટી જશે અને ભારતની રાજકોષીય ખાધમાં ઉછાળો આવશે.
અમેરિકાની આ રેટીંગ એજન્સી મૂડીઝે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે તેનાથી સરકારની ફીસ્કલ ડેફીસીટના જીડીપીની તુલનાએ ૩.૩ ટકાનું ટાર્ગેટ ચૂકી જવાનું જોખમ ઊભુ થશે. મૂડીઝે વધુમાં જણાવ્યું છે કે સરકાર પહેલાંથી જ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત ફીસ્કલ ડેફીસીટના ટાર્ગેટને ૯૪.૭ ટકા સિદ્ધ કરી ચૂકી છે.
ફીસ્કલ ડેફીસીટ વધવાથી સરકારને મૂડી ખર્ચમાં કાપ મૂકવો પડશે. અમારું અનુમાન છે કે તેનાથી ફીસ્કલ ડેફીસીટ વધીને જીડીપીના ૩.૪ ટકાની સપાટી સુધી પહોંચી શકે છે. તો બીજી બાજુ કંબાઇન્ડ ગવર્નમેન્ટ ડેફીસીટ (કેન્દ્ર અને રાજ્ય બંને) જીડીપીના ૬.૩ના સ્થળે રહેવી જોઇએ.
મૂડીઝે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ર૦૧૩-૧૪થી સરકારને પેટ્રોલિયમ પેદાશ પર મળનારી એક્સાઇઝ ડ્યૂટીની આવક બમણાથી વધી ગઇ છે અને પેટ્રોલના ભાવમાં ઉછાળાથી તેને ફાયદો થઇ રહ્યો છે.
પાછલી પોસ્ટ