બાંગ્લાદેશમાં કોર્ટે ૧૪ વર્ષ જૂના કેસમાં નિર્ણય આપતા ૨ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રીઓ સહિત ૧૯ લોકોને ફાંસીની સજા અને ૧૯ અન્ય લોકોને આજીવનકેદની સજા ફટકારી છે. આજીવન કેદની સજા મેળવનારાઓમાં ભૂતપૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જીયાનો પુત્ર તારિક રહમાન પણ સામેલ છે. ૧૧ અન્ય લોકોને ૬ મહિનાથી લઇને ૨ વર્ષ સુધીની કેદની સજા થઈ છે.
બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીનાની ૨૦૦૪માં યોજાયેલ એક રેલી દરમિયાન થયેલા ગ્રેનેડ હુમલામાં ૨ ડઝનથી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ૧૪ વર્ષ સુધી ચાલેલા આ કેસમાં આશરે ૫૦ લોકોને આરોપી બનાવાયા હતા જેના પર આજે ચુકાદો આવ્યો છે. ૫૦ આરોપીઓમાં ૨ લોકો બાંગ્લાદેશના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન બેગમ ખાલિદા જીયા પણ એક કેસની સજાને લઇને જેલમાં છે અને ત્યાં તેઓ પેરેલિસિસનો શિકાર બન્યા છે. હવે તેમના પુત્રની પણ આજીવન કેદ સજાથી બાંગ્લાદેશમાં વિપક્ષનો એક પ્રકારથી અંત આવી રહ્યો છે. એવી શક્યતા છે કે ડિસેમ્બરમાં યોજાવા જઇ રહેલી સામાન્ય ચૂંટણીઓમાં બાંગ્લાદેશમાં એક વાર ફરી શેખ હસીનાની સરકારની રચના થઈ શકે છે.