નરોડા ગામના રાયોટીંગ ટ્રાયલની સુનાવણી દરમ્યાન આજે વેજલપુરના એક મુસ્લિમ સાક્ષી સહિત બચાવપક્ષના વધુ ત્રણ સાક્ષીઓની જુબાની અને ઉલટતપાસ પૂર્ણ થઇ હતી જેમાં કોર્ટ સમક્ષ ફરી એકવાર એ વાતનો મહત્વનો ખુલાસો થયો હતો કે, બનાવના દિવસે ડો.જયદીપ પટેલ, બાબુ બજરંગી સહિતના લોકો સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાજર હતા. નરોડા ગામ તરફ આવેલા ટોળામાં ડો.જયદીપ પટેલ, માયાબહેન કોડનાની સહિતના આરોપીઓ સામેલ ન હતા અને તેઓએ ટોળાને ઉશ્કેરણી કરી હોવાની વાત તદ્દન ખોટી છે. અત્યારસુધીમાં આ સૌપ્રથમવાર કોર્ટના રેકર્ડ પર મહત્વનો પુરાવો આવ્યો છે કે, માયાબહેન કોડનાની અને ડો.જયદીપ પટેલે ટોળાને કોઇ ઉશ્કેરણી કરી ન હતી. નરોડા ગામ કેસમાં આજે ડો.જયદીપ પટેલ, માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓ તરફથી મહત્વના સાક્ષી એવા ૭૪ વર્ષીય છનાભાઇ પટેલ કે જેઓ અમ્યુકોના નિવૃત્ત કર્મચારી છે, તેમણે પોતાની જુબાનીમાં જણાવ્યું કે, તેઓ નરોડા વોટર સપ્લાય વિભાગમાં ફરજ બજાવતા હતા અને તેમની ઓફિસ નરોડા બજારમાં આવેલી હતી. તેમની ફરજનો સમય સવારે ૮થી ૧૨ અને બપોરે ૨થી સાંજે ૬ સુધીનો હતો. બનાવના દિવસે તેઓ સવારે આઠ વાગ્યે નરોડા બસ સ્ટેન્ડ સામે આવેલી પાણીની ટાંકી ખાતે પહોંચ્યો હતો, ત્યાં અમારા અધિકારી ગીરીશ પટેલ અને અન્ય આઠ મજૂરો હાજર હતા. તેઓને કામની વહેંચણી બાદ હુું અને ગીરીશભાઇ નરોડા બજાર ખાતેની ઓફિસે પહોંચ્યા હતા. સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો અને આગેવાન-વેપારીઓને તમે ઓળખો છો એવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, હા હું, માયાબહેન કોડનાની, ડો.જયદીપ પટેલ, બાબુ પટેલ, પૂર્વ કોર્પોરેટર વલ્લભભાઇ પટેલ, અશોકભાઇ, સુનીલ પટેલ, સુનીલ નાયર, જગદીશ પટેલ, પ્રકાશ પટેલ, ચાની કીટલીવાળા નનુમીયાંને ઓળખુ છું. તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું કે, બનાવવાળા દિવસે સવારે ૧૦-૩૦થી ૧૧-૦૦ના અરસામાં દહેગામ તરફથી એક ટોળુ નરોડા ગામ તરફ આવતું હતું, તેમાં અજાણ્યા માણસો હતો. પરંતુ પોલીસની ગાડી આવતાં બધા ભાગી ગયા હતા. એ વખતે પીઆઇ મૈસૂરવાલા હાજર હતા. બપોરે ૧૨ વાગ્યે હું રીસેસમાં ઘેર ગયો અને ૨ વાગ્યે પાછો આવ્યો ત્યારે રસ્તામાં પથ્થરો પડયા હતા, સ્થાનિક મસ્જિદ અને મયુર હોટલ સળગતા હતા. એ વખતે કોઇ માણસો નજરે પડતા ન હતા, માત્ર પોલીસ જ હતી. મારું નિવેદન પોલીસે ચાર-પાંચ મહિના બાદ લીધું હતું પણ કોણે લીધુ હતું તેનું નામ મને જાણમાં નથી.દરમ્યાન પ્રોસીકયુશન પક્ષ તરફથી બચાવપક્ષના આ સાક્ષીને કેટલાક મહત્વના સવાલો કરાયા હતા, જેના પ્રત્યુત્તરમાં છનાભાઇ પટેલે મહત્વના ઘટસ્ફોટ કરતાં જણાવ્યું કે, બનાવવાળા દિવસે સવારે ૮-૦૦થી ૧૨-૦૦ દરમ્યાન કોઇ જ તોફાન થયું ન હતું. તા.૨૭મી ફેબ્રુઆરીથી વાતાવરણ તંગ ન હતું પરંતુ બંધના એલાન પછી વાતાવરણ તંગ બન્યું હતું. સવારે આઠ વાગ્યાથી ટોળા ભેગા થયાની વાત ખોટી છે. ટોળામાં માયાબહેન કોડનાની, ડો.જયદીપ પટેલ, બાબુ પટેલ સહિતના આરોપીઓ સામેલ ન હતા..એટલું જ નહી, માયાબહેન કોડનાની અને ડો.જયદીપ પટેલ ટોળાને ઉશ્કેરણી કરતા હતા, તે વાત પણ તદ્દન ખોટી અને વજુદ વગરની છે. તેઓએ કોઇને ઉશ્કેરણી કરી ન હતી.
આગળની પોસ્ટ