અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં બિલ્ડરો દ્વારા સાઈટના બાંધકામ સમયે મ્યુનિસિપલ એસ્ટેટ-ટીડીઓના અધિકારીઓ સાથે મિલીભગત કરીને પાર્કિંગ, ભોંયરા સહીત કોમન પ્લોટની નિયમ મુજબ, ખુલ્લી રાખવાની જગ્યામાં બાંધકામો કરી વેચી દીધી બાદ હવે તેના માઠા પરિણામો શહેરીજનોને ભોગવવા પડી રહ્યા હોવાનો સૂર ઉઠવા પામ્યો છે.અમદાવાદ શહેરમાં શનિવારે એક જ દિવસમાં વિવિધ સ્થળોએ આગના બનેલા ચાર બનાવો અને મચેલી અફડાતફડી બાદ હવે લોકોનો આક્રોશ બહાર આવી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં બિલ્ડરોએ હાઈરાઈઝડ કે લો-રાઈઝડ સ્કીમ પુરી કરી રોકાણકારોને એલોટમેન્ટ કરી પધરાવી દીધા પછી પણ કેટલીક કડવી વાસ્તવિકતાઓ બહાર આવવા પામી છે.જેમાં અનેક એવી સ્કીમો છે જયાં પાર્કિંગ ન હોવાને કારણે રહીશો ઉપરાંત મુલાકાતીઓને પણ તેમના વાહનો બહાર પાર્ક કરવાની ફરજ પડી રહી છે .બીજી તરફ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ એ વાત સ્વીકારી રહ્યા છે કે તમામ છ ઝોનમાં એસ્ટેટ,ટીડીઓ વિભાગના ઈન્સપેકટરોથી લઈને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર સુધીનાની ગંભીર બેદરકારીને કારણે બિલ્ડરોએ નિયમ મુજબ પાર્કિંગ,ભોયરા,કે કોમન પ્લોટની જગ્યામાં પણ બાંધકામ કરી દઈને તેને વેચી મારીને રૂપિયા રોકડા કરી લીધા હોવા છતાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ તરફથી એક પણ બાંધકામ આજદિન સુધી તોડવામાં આવ્યા નથી. શહેરના દિલ્હી દરવાજા બહાર આવેલા એક વર્ષો જુના ટાવરના ભોંયરામાં દુકાનો બનાવી દેવામાં આવી છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા જેવા વિસ્તારમાં આર્થિક નબળા વર્ગના લોકો માટે બનાવીને જેનું હજુ થોડા સમય પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું છે તેવી બહુમાળી આવાસ યોજનમાં એકપણ બ્લોકમાં પાર્કિંગની જગ્યા જ રાખવામાં આવી નથી. આ તમામ વિગતો જે તે ઝોનના એસ્ટેટ વિભાગને જાણ ન હોય તે માન્યામાં આવી શકે એમ નથી ત્યારે શહેરમાં બનેલી દુર્ઘટનાઓ બાદ આવા બિલ્ડરોના બાંધકામો તોડી પાડવાનો પ્રબળ સુર લોકોમાં ઉભો થવા પામ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ