Aapnu Gujarat
બ્લોગ

યુવા મતદારો પાસે ના તો મોદી પહોંચ્યાં છે ના તો રાહુલ

લોકસભા ચુંટણીની અસર હવે જોવા મળી રહી છે દરેક રાજકીય પક્ષોને પક્ષીની આંખ નજરે પડી ગઇ છે અને તેઓ હવે તેને જ નિશાન બનાવવાનાં પ્રયાસ કરી રહ્યાં છે.ભાજપે તો તેનો ક્યારનોય આરંભ કરી દીધો છે અને કોંગ્રેસે પણ ધીરેધીરે લય પકડી છે.આમ તો સીધો મુકાબલો આ બંને પક્ષો વચ્ચે જ થવાનો છે પણ દરેક રાજ્યમાં ત્યાંના પ્રાદેશિક પક્ષો પણ એટલા જ સશક્ત છે જે હવે પોતાની રીતે જ પાસા પાડવા માંગે છે તેઓ ભાજપ કે કોંગ્રેસને સાથ આપશે પણ પોતાની શરતે અને એ કારણે આ પ્રાદેશિક પક્ષો વચ્ચે પણ ગઠબંધન થઇ રહ્યાં છે હવે તમામ રાજકીય પક્ષો મતદારોની ગણતરી કરી રહ્યાં છે ક્યાં કેવા પ્રકારનાં મતદારો છે અને તેમને કેવી રીતે પોતાની તરફ ખેંચી શકાય તેની વ્યુહરચનાઓ તૈયાર થઇ રહી છે તેવામાં દેશનાં નવ લાખ કરતા વધારે બુથો પર કેવી રીતે પહોંચી શકાય તે માટે રાજકીય પક્ષો યોજનાઓ બનાવી રહ્યાં છે.ભાજપે પેજ પ્રમુખની થિયરીને અપનાવીને કોંગ્રેસને માત આપવામાં સફળતા મેળવી હતી અને તેઓ હવે મોબાઇલ પ્રમુખ સુધી પહોચ્યા છે. કોંગ્રેસ બુથ સહયોગીઓની વાત કરી રહી છે.મામલો હવે એક બુથ દસ યુથ નહી પણ એક બુથ વીસ યુથ સુધી પહોંચી ગયો છે.હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેરા બુથ સબસે મજબૂતનું સુત્ર આપ્યું હતું.બંને પક્ષોનો ઇરાદો બુથ સુધી મતદારને પહોંચાડીને પોતાના પક્ષે મતદાન કરાવવાનો છે.જો કે મતદારનાં મનમાં શું ચાલી રહ્યું છે તેની તરફ તેઓ ધ્યાન આપી રહ્યાં છે ખરા….મોટાભાગના રાજકીય પક્ષો માની રહ્યાં છે કે થોડો વિકાસ, થોડો ધર્મ, થોડી જાતિ, થોડો પૈસો અને થોડા પ્રલોભનથી તેમનું કામ થઇ જવાનું છે.
ભાજપને મોદીનાં ચહેરા અને તેમની ઇમેજ પર ભરોસો છે તો કોંગ્રેસે મોદી સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.બંને પક્ષો એ ભૂલી રહ્યાં છે કે આ ચુંટણીમાં પહેલીવાર એ યુવા મતદારો મતદાન કરવાનાં છે જેમની સંખ્યા ૧૪ કરોડ કરતા વધારે છે.બનારસ, અમેઠી, કનોજ, નવાડા, હાજીપુર, લખનૌ, પટણા, ભોપાલ, વિદિશા, ગુના, નાગપુર, જયપુર, જમ્મુ, શ્રીનગર, ઉધમપુર, હિસાર, બઠિંડા, રોહતક અને સંગરૂર જેવી લોકસભા બેઠકો પર મીડિયા દ્વારા એક સર્વે કરાયો હતો જેમાં ત્યાં રહેલા વિદ્યાર્થીઓનાં મન ફંફોસવાનો પ્રયાસ કરાયો હતો જેમાં કેટલાક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા હતા.સંગરૂરમાં મીડિયાએ કેટલીક યુવતીઓ સાથે વાત કરી હતી જે સવારે ખાલી મેદાનમાં ચક્કર લગાવી રહી હતી તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે બીએસએફમાં જવાની તૈયારી કરી રહી છે.પહેલા તો તેમણે બીએસએફને પસંદ કરવાનું કારણ દેશસેવા જણાવ્યું હતું પણ જેમ જેમ તેમની સાથે વાત થતી ગઇ તેમ તેમ તેમનાં મનની વાત બહાર આવતી ગઇ હતી.તેમણે જણાવ્યું કે ઘરમાં પરિવારનાં સભ્યોની સંખ્યા વધારે છે અને કમાણીનાં સાધનો મર્યાદિત છે તેવામાં બીએસએફમાં જવાથી ઘરની સ્થિતિમાં સુધારો આવે તેવી ગેરંટી છે.છોકરાઓ નિરાશ હતાં કારણકે અભ્યાસ બાદ કોઇ નોકરીઓ જ ન હતી.તેવામાં લશ્કર, અર્ધ લશ્કરી દળ અને પોલીસમાં જ જવાની શક્યતા બચેલી છે.પંજાબથી માંડીને હરિયાણા અને રાજસ્થાનનાં શેખાવટી વિસ્તારોમાં અસંખ્ય ડિફેન્સ એકેડેમીઓ છે જે યુવાનોને સેના માટે પરિક્ષણ આપી તૈયાર કરવાનું કામ કરે છે.આ ઉપરાંત આપણાં મોટાભાગના રાજ્યોમાં સ્પોકન ઇંગ્લિશ કે સ્પોકન ફ્રેંચનાં ક્લાસિસ જોવા મળે છે કારણકે આ ભાષાઓ શીખીને તેઓ વિદેશ જઇને કામ કરી શકે છે. કારણકે દેશમાં તો સરકારી નોકરીઓ ના બરાબર છે.ખાનગી નોકરીઓમાં કોઇ બરકત નથી અને દરેક યુવાન કે યુવતી પાસે પોતાનો ધંધો કરી શકે તેવી મુડી અને ક્ષમતા નથી.આપણાં રાજકીય પક્ષો દર પાંચ વર્ષે વોટ માંગવા આવે છે ત્યારે તેમને મધ્યમવર્ગ અને ગરીબ વર્ગની યાદ આવે છે કારણકે તેમનાં મતો વડે જ તેઓ વિધાનસભા કે સંસદમાં જઇ શકે છે.એકવાર મતદાન થઇ ગયા બાદ તેઓ તેમની રાજકીય રમતો રમવામાં અને પોતાના લોકોને ફાયદો પહોંચાડવામાં મગ્ન થઇ જાય છે સારી નોકરીઓ પર તેઓ તેમના જ પરિજનોને મોકલતા હોય છે તેવામાં જેમની પાસે કોઇ ઓળખાણ નથી તેવા યુવાનો માટે નોકરી કે રોજગારનાં વિકલ્પો બહુ ઓછા બચેલા હોય છે.જે યુવાનો દેશનું ભવિષ્ય ગણાવાય છે તે રાજકીય સિસ્ટમથી નિરાશ થઇ ચુક્યા છે તેમને આશા જ નથી કે કશું બદલાઇ શકે છે.હાલમાં દરેક રાજ્યમાં કોચિંગનું મહત્વ વધ્યુ છે અને તેમાંય ઓનલાઇન શિક્ષણ પણ વધી રહ્યું છે.ગુજરાતનાં છોકરાઓ સુરતમાં બેઠા હોય અને અમદાવાદમાંથી તેમના સવાલોનાં જવાબ મળી રહ્યાં હોય તેવું બની રહ્યું છે.જ્યારે પણ કોઇ જાહેર પરિક્ષા યોજાય છે ત્યારે જોવા મળે છે કે વિદ્યાર્થીઓ ભારે સંખ્યામાં તેમાં ભાગ લેતા હોય છે કોઇ બેંકની પરિક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તો કોઇ આઇએએસની તૈયારીમાં લાગેલું છે.કોઇ કોમ્પ્યુટર કોર્સ કરી રહ્યું છે તો કોઇ એનડીએની તૈયારી કરી રહ્યુ છે.દરેક યુવાન ભણવા માંગે છે, આગળ વધવા માંગે છે, તમામની આંખોમાં સારી જિંદગીનાં સપના છે અને તેને સાકાર કરવા માટે તે સખત પરિશ્રમ કરવા પણ તૈયાર છે.જો કે હાલમાં ચાલી રહેલા અનામતનાં આંદોલનો આ વિદ્યાર્થીઓને વિચલિત કરી રહ્યાં છે તેમને લાગે છે કે તેઓ મહેનત કરશે પણ તેમને નોકરી મળવાની નથી.તેઓ માને છે કે ્‌અનામત માટે જાતિ કે ધર્મ નહી પણ આર્થિક સ્થિતિને આધાર માનવી જોઇએ જેમની આર્થિક સ્થિતિ યોગ્ય નથી તેમને અનામતનો લાભ મળવો જોઇએ.અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિમાં પણ ક્રિમિલેયર જેવી વ્યવસ્થા હોવી જોઇએ.યા તો એવી કોઇ વ્યવસ્થા હોવી જોઇએ કે બે કે ત્રણ પેઢી બાદ તેઓ પોતે જ અનામતથી અલગ થઇ જાય.પરિણામે વંચિતોને સાચા અર્થમાં અનામતનો લાભ મળશે અને સામાજિક વિકાસ થશે.હાલમાં દેશમાં એવા ૧૪ કરોડથી વધારે યુવા મતદારો છે જે ચાહે છે કે તેમને તેઓ જ્યાં અભ્યાસ કરવા માંગે છે ત્યાં અભ્યાસ કરવાની તક મળે અને તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે ત્યાં જવાની તેમને તક મળે.હાલમાં કેન્દ્રમાં અને ઘણાં રાજયોમાં ભાજપની સરકાર છે અને તે કારણે ઘણાં સ્થળોએ જોવા મળે છે કે કેટલાક લોકોએ સમાજને તેમણે શું ખાવું જોઇએ, શું પીવું જોઇએ, કેવા કપડા પહેરવા જોઇએ તે અંગેનાં આગ્રહો કરવા માંડ્યા છે અને ક્યાંક તો તેમનાં મતની વિરૂદ્ધ જનારાઓને માર મરાઇ રહ્યો ક્યાંક હત્યાઓ પણ થઇ રહી છે ત્યારે આ યુવા મતદારો આ અંગે શું માને છે તે મહત્વનું છે તેઓ માને છે કે આ બધી બાબતો તેમના પર છોડી દો તેઓ નક્કી કરશે કે તેમને શું કરવું છે અને તેમનામાં એ અંગેની સારી એવી સમજ છે.આજનાં યુવાનોને નોકરી અને રોજગાર જોઇએ છે તેમનાં માટે ગાય અને મંદિર મસ્જિદ જેવા મુદ્દાઓ બહુ દુરની વાત છે.તેઓ પહેલા તો પોતાની જાતને યોગ્ય સ્થળે પહોંચાડવા માંગે છે જ્યાંથી તેઓ તેમના જીવનને સુવિધાજનક બનાવી શકે.સારી નોકરી તેમની પહેલી પસંદ છે અને તે માટે તેઓ ગમે તેટલી મહેનત કરવા માટે તૈયાર છે.આ યુવાનો માને છે કે ખેડુતોને તેમનાં પાકનાં યોગ્ય મુલ્ય મળવા જોઇએ કારણકે તેઓ પણ એ વર્ગ સાથે સંકળાયેલા છે તેઓ જુએ છે કે ખેતી કરવા માટે કેટલો ખર્ચ થઇ રહ્યો છે એક તરફ બિયારણ અને ખાતર મોંઘા થઇ રહ્યાં છે અને આ ઉપરાંત ખેતી માટે વિજળી અને પાણીની વ્યવસ્થા કરતા ખેડુત નિચોવાઇ જાય છે અને તે મુશ્કેલીઓ વેઠીને પણ તે મોંઘા ભાવનાં કીટનાશકો લાવીને તે પાક તૈયાર કરે છે પણ જ્યારે તે આ પાક લઇને બજારમાં જાય છે ત્યારે તેમને તેનો યોગ્ય ભાવ મળતો નથી. તેણે દેવું કરીને પાક તૈયાર કર્યો હોય છે પણ તે દેવું ભરી શકે તેટલું પણ તેને વળતર મળતું નથી. બેંકો તો તેમને લોન આપતી નથી આથી તેમને શાહુકારોનો જ આશરો લેવો પડે છે જેનું વ્યાજ તેમના માટે મરણતોલ બની રહે છે પણ તેમની પાસે ખેતી સિવાય વિકલ્પ નહી હોવાને કારણે દેવું કરીને પણ ખેતી કરવાનો જ વિકલ્પ બચેલો હોય છે અને તે આમને આમ જ દેવાનાં ડુંગર તળે દબાઇ જાય છે જ્યારે કોઇ આરો કે ઓવારો મળતો નથી ત્યારે કાંતો તે પાકમાં જીવાતોને મારવા માટે લાવેલી દવા પીને પોતે આત્મહત્યા કરે છે કાંતો તે ફાંસો ખાઇને જીવનનો અંત આણે છે આ તમામ સ્થિતિ યુવાનો માટે જાણીતી છે અને તેઓ માને છે કે તેનો ઉકેલ મળવો જ રહ્યો.તે ચાહે છે કે શિક્ષણ સાથે સંકળાયેલી સેવાઓ પર જીએસટી ઓછુ હોવું જોઇએ.આ વર્ગને રાજકીય નેતાઓ તરફ જાણે કે એક ધૃણા થઇ ગઇ છે અને તેમને લાગે છે કે તેઓ તેમનું ભલુ કરી શકે તેમ નથી.આ મત બેંક પાસે ના તો મોદી પહોચ્યા છે ના તો રાહુલ તેમની પાસે ગયા છે વાતો જો કે યુવાનોની થાય છે પણ એવી કોઇ કામગિરી થતી નથી જેનાથી આ વર્ગને આશા બંધાય. દરેક પક્ષે આ યુવાનોની વાત સાભળવી જોઇએ અને તેમનું ભવિષ્ય સુખદ બને તે દિશામાં ગંભીર પ્રયાસો થવા જોઇએ.ચુંટણીનાં સમયે તેમને યાદ કરીને તેમના હાથમાં ફોન કે લેપટોપ પકડાવી દેવાથી તેમનું કલ્યાણ થવાનું નથી તેમને યોગ્ય રોજગાર મળે તે દિશામાં પક્ષો અને સરકારોઅ કામગિરી કરવાની જરૂરિયાત છે.મોટાભાગે તો પક્ષો બોલબચનમાં જ માનતા હોય છે અને તેઓ ભાષણો કરવાનું જ જાણે છે કારણકે તેમની પાસે આ વિશાળ વર્ગનાં કલ્યાણ માટે કોઇ નક્કર યોજના જ નથી મોટાભાગના રાજકીય પક્ષો જે સત્તામાં છે તે આરોપ લગાવતા હોય છે કે અગાઉની સરકારોએ કશું કર્યુ નથી અને જે વિપક્ષમાં છે તે વર્તમાન સરકારને આ સ્થિતિની દોષી ગણાવે છે કોઇને સ્થિતિમાં સુધારો કરવો નથી.

Related posts

રજનીકાંત : બસ નામ હી કાફી હૈ

aapnugujarat

દેશમાં પ્રથમ વખત મહિલા શિક્ષકોની સંખ્યા પુરુષ ટીચર્સ કરતાં વધારે

editor

દામ્પત્ય જીવનની વાસ્તવિકતાના..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1