વેટના અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી શહેરના અગ્રણી વેપારીઓ, ચાર્ડર્ડ એકાઉન્ટન્ટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને ખોટી રીતે કનડગત થઇ રહી હોવાના કારણે વેપારી સહિતના આલમમાં ઉગ્ર રોષની લાગણી ફેલાવા પામી છે. વેટવિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બોગસ બીલીંગ સહિતની બાબતોના ઓઠા હેઠળ વેપારીઓ સહિતના લોકોને હેરાનગતિ પહોંચાડાઇ રહી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. વેપારીઆલમે રોષ ઠાલવ્યો હતો કે, વેટના ઉચ્ચ અધિકારીઓ નાના વેપારીઓને ખોટી રીતે યેનકેન પ્રકારે ડરાવી ધમકાવી અને દરોડાની કાર્યવાહીનો ભોગ બનાવી ભયનો માહોલ પેદા કરી રહ્યા છે, જયારે મોટા વેપારીઓ અને આયાતકારોને કંઇ કરતા નથી અને તેઓને આવી કાર્યવાહીમાંથી મુકત રખાય છે. વેટના અધિકારીઓ નાના ટ્રેડર્સ અને વેપારીઓને ત્યાં ખોટી રીતે દરોડા પાડી તેઓને બળજબરીપૂર્વક ખોટા સ્ટેટમેન્ટમાં સહીઓ લઇ તોડ કરતા હોવાની પણ ભારે ચર્ચા ચાલી રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઇ વેપારીઓ, સીએ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સને આ પ્રકારે હેરાનગતિ કરી ચૂંટણીમાં મતોનું નુકસાન પહોંચાડવાના પધ્ધતિસરના આયોજનના ભાગરૂપે આવી કાર્યવાહી થઇ રહી હોવાની ચર્ચાએ પણ વેપારીઆલમમાં જોર પકડયું છે. બે દિવસ પહેલાં જ કઠલાલ ખાતે એક ટ્રેડર્સના ત્યાં વેટ વિભાગના અધિકારીઓએ દરોડા પાડી તોડ કરી થયેલી હેરાનગતિના મામલે વડોદરાના જોઇન્ટ કમિશનર સમક્ષ રજૂઆત થઇ હતી. જો કે, આ પ્રકરણમાં હજુ સુધી કોઇ પગલાં લેવાયા નથી.
આગળની પોસ્ટ