ફ્રાંસની સરકાર સાથે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી રફાલ યુદ્ધવિમાનની ખરીદીની ડીલ મામલે વિપક્ષી દળોના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. વિપક્ષી સાંસદો દ્વારા કાળી પટ્ટી બાંધીને રફાલ ડીલની તપાસ કરાવવા માટે જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની રચનાની માગણી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
આ વિરોધ પ્રદર્શનમાં યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સામેલ થયા છે. મહત્વપૂર્ણ છે કે રફાલ ડીલમાં યુદ્ધવિમાનની કિંમતો મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અવાર-નવાર સવાલો ઉઠાવતા રહે છે..તેમણે રફાલ ડીલને કરપ્શન ઓફ ધ સેન્ચ્યુરી ગણાવી હતી. તો તાજેતરમાં વરિષ્ઠ પત્રકાર અરુણ શૌરી અને ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ પ્રધાન યશવંત સિંહાએ પણ રફાલ યુદ્ધવિમાનની ડીલને કથિતપણે બોફોર્સ કરતા પણ મોટો ગોટાળો ગણાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે રફાલ ડીલમાં વડાપ્રધાન મોદીના કહેવાથી રફાલ ડીલમાં ફેરફાર કરવામાં આવ્યા અને સરકાર યુદ્ધવિમાનની ખરીદીની કિંમત જણાવી રહી નથી. મોનસૂન સત્રના આખરી દિવસે ટ્રિપલ તલાક પરનું સંશોધિત બિલ રાજ્યસભામાં રજૂ થતા પહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે ટ્રિપલ તલાક મામલે કોંગ્રેસનું વલણ એકદમ સ્પષ્ટ છે.