આવનારી ચૂંટણીઓમાં વોટ્સએપ દ્વારા અપશબ્દો ભરેલા રાજકીય નિવેદનો નહીં થવા દેવાય. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણીઓ સમયે આ પ્રકારના સંદેશા પ્રસારિત કરનારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકતાં તેને બ્લોક કરી દેશે. આ અંગે ચૂંટણી આયોગ અને રાજકીય પક્ષોએ પ્રતિનિધિઓને જાણકારી આપી છે.
ભારતની ચિંતાઓને જોતાં વોટ્સએપે અહીં પોતાના સ્થાનિક પ્રતિનિધિની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. સરકાર તરફથી અફવાઓ અને ફેક ન્યૂઝ રોકવાના મુદ્દે મોકલાયેલી અન્ય નોટિસના જવાબમાં વોટ્સએપે કહ્યું કે પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ થવાથી રોકવાના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કર્ણાટક ચૂંટણીઓમાં આવા ઘણાં એકાઉન્ટની ઓળખ કરાઇ હતી જેનો વ્યવહાર અયોગ્ય હતો. એવા તમામ એકાઉન્ટ પર પ્રતિબંધ પણ મુકાયો હતો.
ર૭ જુલાઇના રોજ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને મોકલાયેલા પોતાના જવાબમાં વોટ્સએપના ડિરેકટર અને એસોસીએટસ જનરલ કાઉન્સિલ બ્રાયન હેન્સીએ લખ્યું છે કે ચૂંટણી આયોગ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વોટ્સએપ આ અંગે વાત કરી ચૂકયું છે.
ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આ પહેલાં ૩ જુલાઇના રોજ વોટ્સએપને પત્ર લખીને અફવાઓ ફેલાવનાર સંદેશાઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. વોટ્સએપે ત્યાર બાદ કેટલાક પગલાં ભર્યાં હતાં, પરંતુ સરકાર સંતુષ્ટ થઇ નહોતી. ૧૯ જુલાઇના રોજ સરકારે ફરી પત્ર લખીને સખત પગલાં ભરવાની માગણી કરી હતી.
અફવાઓ અને ચૂંટણીઓમાં વોટ્સએપના સંબંધિત દુરુપયોગને રોકવા અંગે સરકારે સતત વોટ્સએપ પર દબાણ કર્યું છે. બ્રાયને જવાબમાં કહ્યું કે તેમની સંસ્થા ચૂંટણીઓમાં વોટ્સએપના દુરુપયોગને લઇને સરકારની ચિંતાઓને સમજે છે. ચૂંટણી દરમિયાન અફવાઓ ફેલાવાથી લઇને અપશબ્દો દ્વારા છબી કરનારા સંદેશાઓની ચિંતા વધુ હોય છે.
પાછલી પોસ્ટ