ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોના દિલ સુધી પહોંચી શકાય તેવા જુદા-જુદા અનેક કાર્યક્રમોની શ્રુંખલા તૈયાર કરી છે.જેના ભાગ રુપે રાષ્ટ્ર પ્રેમના નામે પ્રજાના દિલ જીતવા તા.૧૫મી ઓગસ્ટ સ્વાતંત્રદિનથી તા. ૨૧મી ઓગસ્ટ દરમિયાન દેશભરમાં ‘ભારત ગૌરવ પર્વ ‘ ઉજવવાની તડામાર તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ભાજપના તમામ સ્ટેટ યુનિટ્સને બુથ સ્તરથી પ્રદેશ કક્ષા સુધી આ કાર્યક્રમ શાનદારરીતે યોજાવાની તાકીદ કરી છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર દેશની સ્વતંત્રતાની લડાઈમાં ઘણું બધું સહન કરનાર વીરલાઓ તથા સ્વતંત્ર સેનાનીઓ ઉપર વિશેષ રીતે ફોકસ થનારા આ કાર્યક્રમ થકી દેશભરમાં રાષ્ટ્ર પ્રેમનું જોરદાર વાતાવરણ બુલંદ કરવામાં આવશે. અલબત્ત ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષ હોવાને નાતે આ કાર્યક્રમનો ભરપૂર રાજકીય ફાયદો ઉઠાવવાની નેમ પણ આ કાર્યક્રમ પાછળ છે. જેના પરિપેક્ષ્યમાં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઘડવામાં આવેલા આ કાર્યક્રમમાં પક્ષના સાંસદો, ધારાસભ્યો, કાઉન્સીલરોથી માંડીને પ્રદેશ આગેવાનો તેમજ કાર્યકારોને મોટી સંખ્યામાં ફરજિયાતપણે જોડાવવાની પણ તાકીદ કરવામાં આવી છે.
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે દર સ્વાંતત્ર દિન નિમિત્તે ભાજપ દ્વારા આ પ્રકારના કોઈ ને કોઈ કાર્યક્રમો આપવામાં આવે જ છે પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી ધ્યાનમાં રાખીને વધુમાં વધુ પ્રજાને ભાજપ સાથે કનેક્ટ કરી શકાય તે માટે આ કાર્યક્રમ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ