કાશ્મીરના પુલવામામાં ૧૪ જૂનના રોજ આતંકીઓએ જવાન ઔરંગઝેબની હત્યા કરી દીધી હતી. ત્યારે શોકમાં ડૂબેલા ઔરંગઝેબના પિતા મોહમ્મદ હનીફે પોતે પોતાના દીકરાની મોતનો બદલો લેવાની વાત કરી હતી. જોકે બે મહિના પછી શહીદ ઔરંગઝેબના ગામ સલાનીમાં તેના લગભગ ૫૦ દોસ્તો ભેગા થયા છે, જેઓ ખાડી દેશોમાંથી બહુ સારા પગારવાળી નોકરીઓ છોડીને પાછા ફર્યા છે. તેમનો ઉદ્દેશ સેના અને પોલીસમાં ભરતી થઇને આતંકીઓ પાસેથી પોતાના દોસ્તની હત્યાનો બદલો લેવાનો છે.
મોહમ્મદ કિરામત અને મોહમ્મદ તાજે જણાવ્યું કે તેમણે ઔરંગઝેબની મોતના સમાચાર મળતાં જ નોકરી છોડવાનો નિર્ણય કરી લીધો હતો. કિરામતે કહ્યું, “સાઉદીમાં આવી રીતે અચાનક નોકરી છોડવાની પરવાનગી નથી, પરંતુ અમે કોઇક રીતે આ કરી લીધું. અમારો એક જ ઉદ્દેશ છે, ઔરંગઝેબની મોતનો બદલો.”
સેનામાં નોકરી કરી રહેલા ઔરંગઝેબના ભાઈ મોહમ્મદ કાસિમે કહ્યું કે તેમના ભાઈના મોત માટે આતંકી નહીં, પરંતુ આતંકી સંગઠનોને આ કામ કરવાનો નિર્દેશ આપનારા લોકો જવાબદાર છે. તેમણે કહ્યું કે સેનાની ચેતવણી અને કાર્યવાહી પછી પણ આતંકીઓ બેખોફ છે.
આતંકીઓએ ૧૪ જૂનના રોજ ઔરંગઝેબનું અપહરણ કર્યું હતું. પુલવામામાં તે જ રાતે ગોળીઓથી વીંધાયેલું તેનું શબ મળ્યું હતું. તે ઈદ ઊજવવા માટે રજા લઇને ઘરે જઇ રહ્યો હતો.
આગળની પોસ્ટ