મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. પાર્ટીના મુખપત્ર સામનામાં આપેલી મુલાકાતમાં ઉદ્ઘવ ઠાકરેએ જણાવ્યું કે, તેઓ મોદીના સપના માટે નહીં, આમ આદમીના સપના માટે લડી રહ્યા છે. ઠાકરે એમ પણ જણાવ્યું કે શિકાર તો તેઓ જ કરશે, પરંતુ એના માટે તેઓ અન્ય કોઈની બંદૂકનો ઉપયોગ નહીં કરે. પીએમ મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન યોજનાના વિરોધને લઈને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ઠાકરેએ જણાવ્યું કે,હું મોદીના સપનાઓ માટે નહીં પરંતુ મારા દેશની સામાન્ય પ્રજાના સપનાઓ માટે લડી રહ્યો છું. તેઓ પહેલા મુંબઈના હીરા વેપારીઓને ગુજરાત લઈ ગયા. એર ઈન્ડિયાને પણ હટાવી દેવાયું. મુંબઈથી અમદાવાદ કેટલા લોકોને જવાની જરૂર છે? તેના બદલે નાગપુરને મુંબઈથી બુલેટ ટ્રેનથી જોડી દેવું જોઈએ.અવિશ્વાસ પ્રસ્તાવ વખતે ભાજપ સાથે વિશ્વાસઘાતના પ્રશ્નના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘શિવસેના કોઈની સાથે વિશ્વાસઘાત નથી કરતી. સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ચંદ્રબાબુ નાયડૂ લાવ્યા હતા, શિવસેના નહીં. ચંદ્રબાબુ સ્વયં લોકસભા અને રાજ્યસભા ચૂંટણી ભાજપ સાથે મળીને લડ્યા હતા.’ ભાજપ સાથે સત્તામાં રહેવાના પ્રશ્ન પર ઠાકરે જણાવ્યું કે તેનો ઉપયોગ પ્રજાના હિત માટે કરી રહ્યા છે.તેમણે જણાવ્યું સરકારમાં રહીને તેમની પાર્ટી ભાજપ પર અંકુશ લગાવી રહી છે. ઉદ્ધવે તાજેતરમાં થયેલી પેટાચૂંટણીમાં પાર્ટીની હાર વિશે જણાવ્યું કે શામ, દામ, દંડ અને ભેદ દ્વારા તેઓ ચૂંટણી હાર્યા હતા. તેમણે ઈશારા-ઈશારામાં જ ભાજપ પર પ્રહાર કર્યો હતો. ઉદ્ધવે જણાવ્યું કે, ‘પોતાના જે ચાણક્ય સમજે છે, તેમની નીતિ વિશે અમને હવે ખ્યાલ આવ્યો છે. સમીક્ષા કર્યા બાદ શિવસેના પોતાની આગામી રણનીતિ ઘડશે.’ તેમણે મુંબઈમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાની ઊંચાઈ ઘટાડવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા.તાજેતરમાં સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી એવા શિવસેનાએ કોઈને મત આપ્યો નહતો અને સંસદમાં ચર્ચાનો પણ બહિષ્કાર કર્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ખરાબ સંબંધોને પગલે ભાજપની મુશ્કેલી વધી રહી છે. ભાજપ સામે સૌથી મોટું સંકટ એ છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમને ચૂંટણીનો સામનો કરવો પડશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ