રાહુલ ગાંધી આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આક્રમક દેખાયા હતા. પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન લોકસભામાં એક અજબ નજારો જોવા મળ્યો હતો. પોતાના સંબોધનને પૂર્ણ કર્યા બાદ રાહુલ મોદીને ગળે મળ્યા હતા. એકાએક જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના આ પ્રકારના વલણથી એક વખત મોદી પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારબાદ મોદી પણ રાહુલ ગાંધીને હાથ મિલાવીને શુભકામના આપતા નજરે પડ્યા હતા. મોદીને ગળે મળ્યા બાદ કહ્યું હતું કે, હિન્દુ હોવાનો મતલબ આજ થાય છે. રાહુલ ગાંધીના આ પ્રકારના વલણથી તમામ લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. બીજી બાજુ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા દરમિયાન આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો હતો. કેટલાક એવા પળ પણ આવ્યા હાત જ્યારે સમગ્ર ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે બોલી રહ્યા હતા ત્યારે ભાષણ દરમિયાન બે વખત એવા નજારા પણ જોવા મળ્યા હતા જ્યારે મોદી હસી પડ્યા હતા. રાહુલ ગાંધી ઘણા સમય સુધી હસતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધી મોદીની વિદેશ નીતિનો ઉલ્લેખ કરીને કહી રહ્યા હતા કે, વડાપ્રધાન બહાર જતા નથી. રાહુલના આ નિવેદનથી તમામ લોકો હસવા લાગી ગયા હતા. ત્યારબાદ રાહુલે તરત નિવેદનને સુધારીને કહ્યું હતું કે, વડાપ્રધાન બહાર તો જાય છે પરંતુ માત્ર ઓબામા અને ટ્રમ્પને મળવા જાય છે. જો કે, મોદી પર હુમલાનો દોર રાહુલે જારી રાખ્યો હતો.
રાહુલે ગૃહને હચમચાવ્યું : સાતવ
સંસદના મોનસુન સત્ર દરમિયાન આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં પ્રતિક્રિયા કોંગ્રેસના એક સાંસદ રાજીવ સાતવે પણ આપી છે. રાજીવ સાતવે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ શાનદાર ભાષણ આપ્યું છે. સમગ્ર ગૃહ હચમચી ઉઠ્યું હતું. રાહુલ ગાંધીએ જે કહ્યું હતું તે કરીને બતાવ્યું છે. આજે ગૃહમાં ખરેખર ભૂકંપની સ્થિતિ સર્જાઈ હતી. સાતવે કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ એક વખતે કહ્યું હતું કે, જ્યારે તેઓ બોલશે ત્યારે ગૃહમાં ભૂકંપ આવી જશે. આજે રાહુલ ગાંધીનો દિવસ રહ્યો હતો. ૧૮મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે રાહુલ ગાંધીએ અમેઠીમાં એક રેલી દરમિયાન કહ્યું હતું કે, જો તેઓ સંસદમાં ૧૫ મિનિટ ભાષણ કરશે તો ભુકંપ આવી જશે. રાહુલ ગાંધી આજે ૩૮ મિનિટના બદલે એક કલાકથી પણ વધુ સમય સુધી બોલ્યા હતા જેમાં તેમના વ્યક્તિત્વના અનેક રંગ જોવા મળ્યા હતા.
રાહુલના નિવેદનથી હરસિમરત લાલઘૂમ
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન ચર્ચા વેળા રાહુલ ગાંધીના હસવાના નિવેદનને લઇને હોબાળો થઇ ગયો છે. રાહુલના નિવેદન વેળા તીવ્ર ટિપ્પણીઓનો દોર ચાલ્યો હતો. બીજી વખત રાહુલે બોલવાની શરૂઆત કરી ત્યારે કહ્યું હતું કે, વિપક્ષના સાંસદોએ હાલમાં જ તેમને અભિનંદન આપ્યા છે પરંતુ એ વખતે તેઓ હેરાન થઇ ગયા હતા જ્યારે ભાજપના સભ્યોએ પણ હાથ મિલાવીને તેમની પ્રશંસા કરી હતી. એજ વેળા રાહુલ ગાંધી હાથનો ઇશારો કરીને બોલી ગયા હતા કે, આ અકાળી નેતા હસીને તેમની તરફ જોઇ રહ્યા છે. આના પર હોબાળો શરૂ થઇ ગયો હતો. હરસિમરત કૌરે રાહુલના નિવેદનને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ સંસદ છે મુન્નાભાઈના પપ્પી-ઝપ્પીના એરિયા તરીકે નથી.