Aapnu Gujarat
બ્લોગ

રાજકુમાર : ડાયલોગનો રાજા

હિન્દી ફિલ્મોમાં ઉત્તમ કલાકારોની ખોટ કયારેય વર્તાઇ નથી દિલિપ કુમારથી માંડીને નવાજુદ્દીન સિદ્દકી જેવા કલાકારો દરેક સમયગાળામાં જોવા મળ્યા જ છે અને આ કલાકારોની કોઇ ખાસિયત રહી હોય તો તે તેમની ડાયલોગ ડિલિવરી રહી છે દિલિપ કુમાર જ્યાં સુધી તંદુરસ્ત હતા ત્યાં સુધી તેઓ કામ કરતા રહ્યાં હતા હાલ તેઓ નિવૃત્ત છે એ જ રીતે તેમનાં સમયગાળામાં દેવ આનંદ અને રાજકપુરની પણ આગવી ઓળખ હતી અને તેમની પણ ડાયલોગ ડિલિવરી તદ્દન વિશેષ હતી. આ કલાકારો પણ લાંબા સમય સુધી દર્શકો પર રાજ કરી ચુક્યા છે.પરદા પર મારધાડ કરતા કરતા ધાણીફુટ ડાયલોગ ફટકારનારા કલાકારો દર્શકોને હંમેશા ગમ્યા છે અને આ કલાકારોમાં માત્ર ડાયલોગ ડિલિવરીનાં આધારે જ દર્શકોની અપાર લોકચાહના પામનાર કલાકાર તરીકે જો કોઇ વિખ્યાત હોય તો તે છે જાની રાજકુમાર. રાજકુમાર દેશના કરોડો ચાહકોનાં દિલોદિમાગ પરથી તેઓ હજુ ભુલાયા નથી. જુલાઈ માસમાં તેમની પુણ્યતિથિ હતી. તેઓ તારીખ ૩ જુલાઈ, ૧૯૯૬ના રોજ આ ફાની દુનિયાને છોડીને ચાલ્યા ગયા તે પછી આટલાં વર્ષો બાદ પણ અદાઓના શહેનશાહનું બિરુદ પામેલા એક્ટર રાજકુમારની સંવાદશૈલી હજુયે લોકોના કાનમાં ગુંજે છે. આમ તો તેમના અનેક સંવાદ જાણીતા છે. તેમાં ફિલ્મ ‘સૌદાગર’નો એક સંવાદ છેઃ ‘જાનીપ.હમ તુમ્હે મારેંગે, ઔર જરૂર મારેંગે, પર બંદૂક ભી હમારી હોગી, ઔર વક્ત ભી હમારા હોગા.’
‘જાની’ શબ્દ એ રાજકુમારનો પર્યાયવાચી શબ્દ બની ગયો હતો. તેઓ ડાયલોગ ડિલિવરીના રાજા કહેવાતા હતા. પૂરા ચાર દાયકા સુધી હિન્દી ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઈલથી રૂઆબ છાંટનાર રાજકુમારને બોલિવૂડ એક ‘અનક્ન્વેશનલ હીરો’ તરીકે ઓળખતું હતું. તલવારકટ મૂછો, ગંભીર ચહેરો અને પથ્થર જેવી સખત આંખો હોવા છતાં એક્ટિંગને તેઓ બખૂબીથી જાણતા હતા. તેમના અવાજમાં એક પ્રકારની આગવી “વોઈસ ક્વોલિટી” હતી. તેમની ફિલ્મ “તિરંગા”નો એક સંવાદ અને તેમાં રહેલો પંચ આજેય તેમના ચાહકોને યાદ છેઃ “ના તલવાર કી ધાર સે, ના ગોલિંયો કી બ્યોછાર સેપબંદા ડરતા હૈ તો સિર્ફ પરવરદિગાર સે.”
આમ જોવા જઈએ તો તેઓ દેવ આનંદ, રાજેન્દ્રકુમાર, જીતેન્દ્ર કે રાજ કપૂર જેવા ટ્રેડિશનલ હીરો નહોતા. તેમની સ્ટાઈલ સ્ટિરિયોટાઈપ હોવાથી તેમણે પ્રિન્સ, શાયર, જમીનદાર, આર્મી ઓફિસર, પોલીસવડા, ગેંગસ્ટરથી માંડીને રોમેન્ટિક હીરોનો રોલ કર્યો હતો. ફિલ્મ ‘વક્ત’માં તેમણે એક સોફિસ્ટિકેટેડ ચોરનો રોલ કર્યો હતો. આવી વ્યક્તિઓ માટે આજકાલ બોલિવૂડમાં “એક્સ” શબ્દ પ્રયોજવામાં આવે છે. તેનો મતલબ છે “સમથિંગ સ્પેશ્યિલ.”
કમનસીબ છે કે બોલિવૂડના ઈતિહાસકારોએ એક્ટર રાજકુમાર વિશે બહુ ઓછું લખ્યું છે. તેઓ મૂળ કાશ્મીરી પંડિત હતા. તેમનો જન્મ તા.૮ ઓક્ટોબર, ૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળનામ કુલભૂષણ પંડિત હતું. તેઓ અખંડ ભારતના બલૂચિસ્તાનમાં જન્મ્યા હતા. તેઓ ભણીને મુંબઈ આવ્યા હતા. કારકિર્દીની શરૂઆત તેમણે ૧૯૪૦માં મુંબઈમાં પોલીસ સબ-ઈન્સ્પેકટરની નોકરીથી કરી હતી. ૧૯૬૦માં તેમણે ગાયત્રી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તેઓ ત્રણ સંતાનોના પિતા બન્યા હતા.ઈ.સ.૧૯૫૨માં તેમણે ફિલ્મોમાં એક્ટિંગ શરૂ કરી હતી. સ્ક્રીન માટે તેમણે તેમનું નામ બદલીને રાજકુમાર રાખ્યું હતું. એ જમાનામાં એકટર્સ તેમના નામની પાછળ કુમાર લગાવતા. દા.ત. યુસુફખાને પોતાનું નામ દિલીપકુમાર રાખ્યું હતું. રાજકુમારની ફિલ્મ ‘રંગીલી’ બોકસઓફિસ પર હિટ જતાં તેમને બીજી ફિલ્મો મળવા લાગી હતી. અલબત્ત, મહેબૂબ ખાને તેમને ફિલ્મ ‘મધર ઈન્ડિયા’માં રોલ આપ્યો તે પહેલાં તેઓ બહુ જાણીતા નહોતા. ‘મધર ઈન્ડિયા’ એક યાદગાર અને કલાસિક ફિલ્મ હતી. તેમાં તેમણે નરગિસના પતિનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં જ નરગિસ અને સુનિલ દત્ત એકબીજાના પ્રેમમાં પડી પરણી ગયાં હતાં. ૧૯૫૭માં બનેલી આ ફિલ્મને ઓસ્કરમાં નોમિનેશન મળ્યું હતું. ફિલ્મને ઓસ્કર તો ના મળ્યો પણ તેમાં કામ કરનાર તમામ કલાકારોને દેશભરમાં જબરદસ્ત ખ્યાતિ મળી હતી. તેમાં રાજકુમાર પણ એક હતા. તેમણે એક ગરીબ ખેડૂતનો રોલ કર્યો હતો. ખેતરમાંથી વજનદાર પથ્થર હટાવવા જતાં તેમના બંને હાથ કપાઈ જાય છે તેવા અપંગનો રોલ તેમણે કર્યો હતો. આવો રોલ શાહરૂખ ખાન, સલમાન ખાન કે રિતિક રોશન કે રણબીર કપૂર ભાગ્યે જ કરે.ફિલ્મ ‘મધર ઈન્ડિયા’ની સફળતા બાદ રાજકુમારને ઘણી મોટી હિટ ફિલ્મો મળી હતી જેમાં (૧) શરારત (૨) દિલ અપના ઔર પ્રીત પરાઈ (૩) ઘરાના (૪) દિલ એક મંદિર (૫) વક્ત (૬) હમરાઝ (૭) નીલકમલ (૮) પાકિઝા (૯) લાલ પથ્થર (૧૦) હીર રાંઝા અને (૧૧) હિન્દુસ્તાન કી કસમ વગેરેનો સમાવેશ થાય છે. એ જમાનાના જબરદસ્ત લોકપ્રિય એકટર્સ સુનિલ દત્ત, શશીકપૂર, રાજેન્દ્રકુમાર અને બલરાજ સાહની જેવા કલાકારોની સાથે કામ કરવાની તક મળી હતી અને તે બધાની સામે મેદાન મારી ગયા હતા.
ફિલ્મ “વક્ત” નો ડાયલોગ લોકો હજુયે ભૂલ્યા નથીઃ “ચિનોય શેઠ ચક્કૂ-છુરી બચ્ચોં કે ખેલને કી ચીઝ નહીં હોતી, લગ જાતી હૈ તો ખૂન નીકલ આતા હૈ!”
આવોજ બીજો પણ ‘વકત’ નો જ ડાયલોગ લોકોના હોઠ પર છેઃ “ચિનોય શેઠ, જીન કે ઘર શીશે કે હોતે હૈં, વહ દૂસરોં કે ઘર પર પથ્થર ફેંકા નહીં કરતે.”
અને એ વખતે સિનેમા થિયટર્સ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી ઊઠતાં હતાં. અલબત્ત, તેઓ ડાયલોગ ડિલિવરીના શહેનશાહ હતા એટલું કહેવું પૂરતું નથી. તેઓ તેથીયે વધુ એક પરફેક્ટ અને વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ જ્યારે સંવાદ બોલતા ત્યારે તેમના ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની તાકાત અને તેમનો સત્તાવાહી અહંકાર તેમના ચહેરા પર છલકાતો. એ જ રીતે ‘નીલકમલ’ જેવી ફિલ્મમાં તેમણે રોમેન્ટિક હીરોની ભૂમિકા પણ ઊંડાણપૂર્વક નિભાવી હતી. ‘દિલ અપના પ્રીત પરાઈ’ ફિલ્મમાં તેઓ મીનાકુમારીને પરણી શક્તા નથી ત્યારે એમની આંખો દ્વારા તેમની લાગણીઓની જબરદસ્ત અભિવ્યક્તિ કરી હતી. આ ફિલ્મના ગીતઃ “અજીબ દાસ્તાં હૈ યે”ના પિકચરાઈઝેશનમાં રાજકુમારે પ્રણયભગ્ન હીરોની ભાવવાહી લાગણીઓ પ્રેક્ષકો પર છોડી દીધી હતી.એથીય આગળ ફિલ્મ “પાકિઝા” માં રાજકુમાર જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે છે અને મીનાકુમારીના ગોરા પગ જોયા પછી તેઓ બોલે છેઃ “આપ કે પાંવ દેખે, બહુત હસીન હૈં, ઈન્હે ઝમીન પર મત ઉતારીયેગા, મૈલે હો જાયેંગે,” એ સંવાદ ભૂલી શકાય તેમ નથી.એ દિવસોમાં એવોડ્‌ર્સ મેળવવાનું કામ મુશ્કેલ હતું. ‘ફિલ્મફેર’ મેગેઝિનનો એવોર્ડ એ જમાનામાં ગૌરવપૂર્ણ એવોર્ડ ગણાતો. ૧૯૬૦માં રાજકુમારને ફિલ્મ “દિલ એક મંદિર” અને “વક્ત” માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ એનાયત થયો હતો ઉંમરની સાથે તેમણે સહાયક અભિનેતાના રોલ પણ કર્યા હતા.સ્વભાવની દ્રષ્ટિએ રાજકુમાર કિશોરકુમાર જેવા મૂડી હતા. તેઓ પોતાની શરતો પર જીવનાર અને કામ કરનાર માનવી હતા. તેઓ કોઈ પાર્ટીમાં જાય તો અત્યંત તેજસ્વી-શ્વેત અને એમ્બ્રોઈડરી કરેલાં વસ્ત્રોમાં જ જતા. તેમણે પ્રકાશ મહેરાની ફિલ્મ “ઝંઝીર”માં કામ કરવાની ઓફર ફગાવી દીધી હતી. કારણ આપતાં તેમણે કહ્યું હતું કે, “મને પ્રકાશ મહેરાનો ચહેરો ગમતો નથી.” એ પછી એ ફિલ્મમાં એન્ગ્રી યંગમેનનો રોલ અમિતાભ બચ્ચનને મળ્યો હતો.
એકવાર એક નિર્માતા કોઈ એક ફિલ્મ માટે તેમને કરારબદ્ધ કરવા આવ્યા. રાજકુમારે પૂછયુંઃ “કિતને પૈસે દોગે?” નિર્માતાએ કોઈ એક રકમ કહી. રાજકુમારે કહ્યુંઃ ‘ઉતને પૈસોં મેં તો વહ .. કો લે જાવ!’ રાજકુમારનો ઈશારો ડેની ડેન્ઝોંગ્પા તરફ હતો. રાજકુમાર મોહમ્મદ રફીના યાદગાર ગીતોનો સ્ક્રીન પરનો ચહેરો હતા. દા.ત. “ છૂ લેને દો નાજુક હોંઠો કો, કુછ ઔર નહીં ઈક જામ હૈ યૈ” અને “યે ઝુલ્ફેં અગર બિખર જાયે તો અચ્છા હૈ” તથા “યે દુનિયા, યે મહેફિલ” જેવાં ગીતો અવિસ્મરણીય છે. આવા એક્ટર રાજકુમાર હિન્દી ફિલ્મોના ચાહકો પર એક અમીટ અસર છોડી ગયા છે. તેમના જીવનની કમનસીબી એ હતી કે તેમનો જે સ્વર, પ્રેક્ષકો પર જાદુ કરતો હતો તે પાછલા દિવસોમાં કેન્સરના કારણે રૃંધાઈ ગયો હતો.

Related posts

વર્ષ ૨૦૧૭ની સૌથી મોટી રાજકીય ઘટના…..

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1