ભાજપના ૨૦ પૂર્વ મંત્રીઓ, કોંગ્રેસના ૩ પૂર્વ ધારાસભ્યો, ભાજપના એક પૂર્વ સાંસદ, ૮ નિવૃત્ત જજ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિત ૫ પોલીસ અધિકારીઓમાં ૨ પોલીસ અધિકારીઓ નોકરીમાં ચાલુ હોવા છતાં તેમની સુરક્ષા પણ પાછી ખેંચવામાં આવી
પુર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને આપવામાં આવેલી સલામતી પાછી ખેંચી લેવામાં આવતા આ મુદ્દો રાજકિય બની ગયો છે, સંજીવ ભટ્ટે ૨૦૦૨ના તોફાનો માટે રચવામાં આવેલા નાણાવટી પંચ અને સુપ્રીમ કોર્ટમાં કરેલી એફીડેવીટને લઈ તેમણે ભાજપ સામે બાયો ચઢાવી હતી. હવે તેમની સલામતી પાછી ખેંચી લેવામાં આવતા ફરી વિવાદ સપાટી ઉપર આવ્યો છે. જો કે અમને મળેલી માહિતી પ્રમાણે માત્ર સંજીવ ભટ્ટની જ નહીં પણ ભાજપના ૨૦ પુર્વ મંત્રીઓ સહિત કુલ ૬૮ મહાનુભાવોની સલામતી પાછી ખેંચી લેવામાં આવી છે. આ નેતાઓ, અને અધિકારીઓની સલામતી માટે ચારસો કરતો વધુ પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરવામાં આવેલા હતા.
રીવ્યુ કમિટીમાં જેમા ઈન્ટેલીઝન્સ વિભાગના અધિકારીઓ સહિત ગૃહ વિભાગ અને કેન્દ્રીય ગુપ્તચર વિભાગે તેમને મળતા નિયમિત ઈનપુટ અને જેમને ફાળવવામાં આવેલી વિવિધ કેટગરીની સલામતીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, જેમાં સંજીવ ભટ્ટ સહિત ભાજપના પુર્વ વીસ મંત્રીઓ સહિત નિવૃત્ત પોલીસ અધિકારીઓ અને ન્યાયાધીશ મળી કુલ ૬૮ વીઆઈપીને હવે ખાસ સલામતી વ્યવસ્થાની જરૂર નથી તેવો રિપોર્ટ રિવ્યુ કમિટી દ્વારા ગૃહ વિભાગને આપવામાં આવ્યો હતો, જેના આધારે ગૃહ વિભાગે તમામ ૬૮ વીઆઈપીઓની સલામતી પાછી લેવાનો આદેશ આપ્યો હતો જેમાં સંજીવ ભટ્ટ પણ સમાવેશ થતો હતો.
સ્થાનીક પોલીસ તેમજ ગુપ્તચર વિભાગ દ્વારા કરવામાં આવેલી સમિક્ષા દ્વારા ભાજપના ૨૦ પૂર્વ મંત્રીઓ, કોંગ્રેસના ૩ પૂર્વ ધારાસભ્યો, ભાજપના એક પૂર્વ સાંસદ, ૮ નિવૃત્ત જજ, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિત ૫ પોલીસ અધિકારીઓમાં ૨ પોલીસ અધિકારીઓ નોકરીમાં ચાલુ હોવા છતાં તેમની સુરક્ષા પણ પાછી ખેંચવામાં આવી છે.
આ ઉપરાંત બાકીના અન્ય મહાનુભાવો છે જેમાં ગૌરક્ષા સાથે સંકળાયેલા અને અન્ય કામોના મહાનુભાવોનો પણ સમાવેશ થાય છે જેમની પણ સુરક્ષા વ્યવસ્થા પરત ખેંચવામાં આવી છે.જો કે પોતાની સલામતી પાછી ખેંચી લેવામાં આવતા સંજીવ ભટ્ટ જે રીતે નારાજ થયા તે રીતે અન્ય વીઆઈપીઓ પણ નારાજ થયા હતા અને તેમણે પણ સરકારમા પોતાની સલામતી ચાલુ રાખવા સરકાર ઉપર દબાણ કરવાનું શરૂ કર્યુ છે.