કાશ્મીરમાં સેનાના ઓપરેશન ઓલઆઉટથી ધૂંધવાયેલું પાકિસ્તાનનું આતંકી સંગઠન હવે ભારતીય નૌસેનાને નિશાન બનાવવાની તૈયારીમાં છે. પશ્ચિમી રાજસ્થાન પાસેની બોર્ડરની પેલે પાર પાકિસ્તાનના પંજાબ સ્થિત બહાવલપુર અને રહમિયાર ખાંમાં જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં આતંકીઓને મરીન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જૈશના પ્રમુખ મૌલાના અઝહર મસૂદે આ માટે ૨૦થી ૨૫ યુવકોની પસંદગી કરી છે અને તેમને સમુદ્રમાં નેવીની છાવણીઓને નિશાન બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તાજેતરમાં દેશની એક મુખ્ય ગુપ્ત એજન્સી તરફથી સૂચના મળ્યા પછી નૌસેના હાઇએલર્ટ પર છે. ખાસ કરીને પશ્ચિમી નૌસેના કમાનના વિસ્તારમાં આવતી છાવણીઓ પર ચોકસાઇઓ વધારી દેવામાં આવી છે.
જૈશએ ૨૬/૧૧ની જેમ મોટા હુમલાઓને અંજામ આપવા માટે ખાસ કરીને પંજાબ અને સિંધ પ્રાંતમાંથી ૧૮થી ૨૦ વર્ષના યુવકોની નિમણૂક કરી છે. તેઓ અતિશય ગરીબ પરિવારમાંથી છે. તેમને ડીપ ડાઇવિંગ એટલે કે ઊંડે સુધી પાણીમાં ડૂબકી લગાવીને પાણીની અંદરથી જ હુમલો કરવો અને નૌકાસૈનિકની જેમ લાંબા અંતર સુધી તરવાની તૈયારી કરાવવામાં આવી રહી છે.
તેમને ઘાતક હથિયાર ચલાવવા અને વિસ્ફોટક સાથે હુમલો કરવાનું શીખવાડવામાં આવી રહ્યું છે. તેનાથી તેઓ મુંબઈ હુમલાની જેમ તટીય ક્ષેત્રમાં અથવા પાણીની અંદર બનેલી નેવીની છાવણી, ખાસ કરીને જહાજને નિશાનો બનાવી શકે. તેમને દરેક મુશ્કેલીઓ પાર કરવી, બોટનું અપહરણ કરવું અને જબરદસ્તી ઘૂસવાનો અભ્યાસ પણ કરાવવામાં આવી રહ્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જૈશના આતંકી કેમ્પ ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે. છેલ્લા ૪ વર્ષોથી અઝહર મસૂદે તેમને વધુ સક્રિય કર્યા છે. આ જ કેમ્પમાં પઠાણકોટ હુમલાના આતંકીઓને તૈયાર કરવામાં આવ્યા હતા.