૧૦૦ થી વધુ ગામ ધરાવતો દહેગામ તાલુકો વર્ષો થી એક આધુનિક સરકારી હોસ્પિટલ ઝંખી રહ્યો છે. માત્ર ૩૦ બેડ ધરાવતી એક રેફરલ હોસ્પિટલ દહેગામ પાસે છે. દહેગામ તાલુકા કે શહેરમાં કોઇ ગંભીર અકસ્માત સર્જાય તો ઈજાગ્રસ્તને ગાંધીનગર કે અમદાવાદ રીફર કરવા પડે છે. સારવાર મળવામાં વિલંબના પગલે દહેગામ શહેર અને તાલુકામાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી દે છે.
ગાંધીનગરથી ૨૫ કિલોમીટર અને અમદાવાદથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલો દહેગામ તાલુકો અને શહેર આમ તો ખૂબ જ મોટો મત વિસ્તાર છે. છતાં પણ એક સારી હોસ્પિટલ થી વંચિત છે. આની પાછળ શું કારણ છે તે હજુ સુધી સમજાયું નથી. કેટલાક શહેરીજનોના મતે ગંદુ રાજકારણ જવાબદાર છે તો કેટલાક માને છે કે, ગાંધીનગર અને અમદાવાદ નજીક હોવાના કારણે દહેગામનો વિકાસ થતો નથી. આ તાલુકામાં ૯ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે,જેમાં દર્દીઓ નાની મોટી સારવાર લે છે. પરંતુ, થોડી પણ ગંભીર હાલત હોય તો તેમને દહેગામ મોકલવામાં આવે છે. દહેગામ શહેરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વાર્ષિક ૭૦ હજાર ઓપીડી, ૨૦૦૦ આસપાસ ડિલિવરીના કેસો હોવા છતાં માત્ર એક સુપ્રિટેન્ડેન્ટ,૨ એમ.ઓ,૨ વીઝીટિંગ ડોકટરો છે.નર્સો અને બીજો સ્ટાફ થઈ માત્ર ૨૩ જણા પોતાની શિફ્ટ મુજબ ફરજ બજાવે છે. એટલે એક શિફ્ટ માં માત્ર એક ડોકટર અને બાકી ૨ નર્સો જ હોય છે.
દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આરોગ્ય નિયામકને એક અદ્યતન હોસ્પિટલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે જૂનાં બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ પણ કરી દેવામાં આવ્યો છે.
પાછલી પોસ્ટ