વર્લ્ડ બેંકના જણાવ્યા પ્રમાણે, ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને પાછળ છોડી દીધું છે. ફ્રાન્સનું અર્થતંત્ર ૨૦૧૭માં ૨.૫૮ ટ્રિલિયન ડોલર (૧૭૭ લાખ કરોડ રૂપિયા) હતું. ભારતનું અર્થતંત્ર તેનાથી વધુ ૨.૫૯ ટ્રિલિયન ડોલર (૧૭૮ લાખ કરોડ રૂપિયા) થયું. ભારતના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના મામલે આંધ્રપ્રદેશ સતત બીજીવાર ટોપ પર છે.
ભારતની વસ્તી જ્યાં ૧૩૪ કરોડ, ફ્રાન્સની વસ્તી ૬.૭ કરોડ છે છે. વર્લ્ડ બેન્કના જણાવ્યા પ્રમાણે, તેનું મહત્વ એ છે કે ભારતની સરખામણીએ ફ્રાન્સમાં દરેક વ્યક્તિની આવક ૨૦ ગણી વધુ છે.
વર્લ્ડ બેન્કના ગ્લોબલ ઇકોનોમિક્સ પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ પ્રમાણે, નોટબંધી અને જીએસટી પછી આવેલી મંદીમાંથી ભારતનું અર્થતંત્ર બહાર આવી રહ્યું છે.
ભારત ૨૦૩૨ સુધીમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. ૨૦૧૮માં ભારતનું અર્થતંત્ર ૭.૩ ટકા અને ૨૦૧૯માં ૭.૫ ટકાના વૃદ્ધિદરથી વધી શકે છે.
રિપોર્ટ તૈયાર કરનાર વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર અહયાન કોસે કહે છે કે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને તેમાં સ્ટેડી વિકાસ આપવાની ક્ષમતા છે. અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી અને રોકાણ વધવાથી ભારતની જીડીપી મજબૂત થઇ છે.
વર્લ્ડ પોવર્ટી ક્લોક અને બ્રૂકિંગ્સના એક રિપોર્ટ પ્રમાણે, હવે ભારત દુનિયામાં સૌથી વધુ ગરીબ જનસંખ્યા વાળો દેશ નથી. ભારતમાં જ્યાં ૭ કરોડ વસ્તી અતિશય ગરીબીમાં જીવી રહી છે, ત્યાં નાઇજીરિયામાં ૮.૭ કરોડ લોકો અતિશય ગરીબ છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાઇજીરિયામાં જ્યાં દર એક મિનિટમાં છ લોકો ગરીબીમાં ધકેલાઇ રહ્યા છે, ત્યારે ભારતમાં દર મિનિટે ૪૪ લોકો ગરીબીમાંથી બહાર આવી રહ્યા છે.
આઈએમએફનાં જણાવ્યા અનુસાર ભારતનો ગ્રોથ ૭.૪ ટકા થઇ શકે છે અને ૨૦૧૯માં તેનો વિકાસ દર ૭.૮ સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ દુનિયાનો સરેરાશ વિકાસ દર ૩.૯ ટકા રહેશે તેવું અનુમાન છે. ૨૦૩૨ સુધી ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે તેવી સંભાવનાં કરવામાં આવી છે. અત્યારે અમેરિકા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, ત્યારબાદ ચીન, જાપાન અને જર્મનીનો નંબર આપે છે.