ક્રિકેટના ભગવાન ગણાતા મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે એક એવો ઘટસ્ફોટ કર્યો છે જેને જાણીને સચિનને ચાહકોને થોડો આઘાત ચોક્કસ લાગશે. તેમણે કહ્યું કે તેમને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિયેનો સામનો કરવો જરાય પસંદ નહતો. આ ઉપરાંત સચિને એ પણ સ્વીકાર્યું કે પોતાની ૨૪ વર્ષની આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન ૧૯૯૯માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી સીરિઝને સૌથી મુશ્કેલ ગણાવી હતી.સચિન તેંદુલકરે તેમના ચાહકોને એવું કહીને ચોંકવી દીધા કે તેમને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિયેનો સામનો કરવો જરાય ગમતું નહતું. સચિને કહ્યું કે ‘૧૯૮૯માં જ્યારથી મેં રમવાનું શરૂ કર્યું ત્યારથી લઈને ઓછામાં ઓછા ૨૫ વિશ્વસ્તરના બોલરો હાજર હતાં. પરંતુ જેમના વિરુદ્ધ મને રમવાની જરાય મજા ન આવી તે હતાં હેન્સી ક્રોનિયે. કોઈને કોઈ કારણસર હું આઉટ થઈ જતો હતો અને મને મહેસૂસ થવા લાગ્યું હતું કે હું સ્ટ્રાઈક નહીં પરંતુ સામેની બાજુ પર ઊભેલો જ સારો છું. પિચ પર જે પણ અન્ય બેટ્સમેન રહેતો હતો તેને હું કહેતો હતો કે હેન્સીની બોલિંગમાં સ્ટ્રાઈક તમે રાખો.’
અત્રે જણાવવાનું કે દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિયેએ સચિન તેંદુલકરને ૩૨ વનડે મેચોમાં ફક્ત ૩ વાર આઉટ કર્યાં હતાં પરંતુ ૧૧ ટેસ્ટ મેચોમાં ક્રોનિયેએ સચિનને ૫ વાર પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો. હેન્સી ક્રોનિયે એક મીડિયમ પેસર હતાં અને તેઓ પોતાના મજબુત ખભાના કારણે બોલને બાઉન્સ કરવાની સાથે સાથે ઝડપ પણ આપી શકતા હતાં જેના કારણે તેમને રમવું બેટ્સમેનો માટે મુશ્કેલ બની રહેતું હતું.આ ઉપરાંત સચિન તેંદુલકરે એમ પણ જણાવ્યું કે ‘તેમાં કોઈ જ શક નથી કે મારી કરિયરની સૌથી મુશ્કેલ સીરિઝ ૧૯૯૯ની હતી જ્યારે અમે ઓસ્ટ્રેલિયા ગયા હતાં. તેમની ટીમ બેજોડ હતી. તેમના અગિયારમાંથી સાતથી આઠ ખેલાડીઓ મેચવીનર હતાં અને બાકીના ખેલાડીઓ પણ ખૂબ સારા હતાં. આ એક એવી ટીમ હતી કે જેણે વિશ્વ ક્રિકેટમાં અનેક વર્ષો સુધી દબદબો બનાવી રાખ્યો. ક્રિકેટ રમવાની તેમની પોતાની શૈલી હતી, ખુબ આક્રમક.’ સ્ટીવ વોની ટીમે ત્રણ મેચોની સીરિઝમાં ભારત પર સંપૂર્ણ દબદબો જાળવતા ભારતનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો હતો.