દેશ વિરુદ્ધ આપત્તિજનક અને ભડકાઉ ટિપ્પણી કરવાના કારણે કોલકાતાની ટિપૂ સુલ્તાન મસ્જિદના ઈમામ પદેથી ઈમામ નૂર ઉર રહેમાન બરકતીને આજે બરખાસ્ત કરી દેવામાં આવ્યાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વીઆઈપી કલ્ચરને નાબુદ કરવાના હેતુથી લાલબત્તીને હટાવવાનો આદેશ અપાયા બાદ બરકતીએ તેમના વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો.
મસ્જિદ બોર્ડ ઓફ ટ્રસ્ટીના પ્રમુખ શાહજાદા અનવર અલી શાહે કહ્યું હતું કે આ અંગે અમારા અધિવક્તાઓ સાથે અંતિમ તબક્કાની વાતચીત ચાલી રહી છે. શાહે કહ્યું હતું કે બરકતીના દેશવિરોધી નિવેદનોને બિલકુલ સહન કરી શકાય નહીં.
તેમણે એવું પણ કહ્યું કે બરકતીએ અમારા સમુદાય સાથે દગો કર્યો છે અને લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમના નિવેદને દેશ અને સમુદાયને નુકસાન પહોંચાડ્યું છે. જેની હકિકત એ છે કે તે આરએસએસ જેવી તાકાતોને પ્રોત્સાહન આપે છે.
શાહે કહ્યું હતું કે બરકતીની આવી હરકતોને જોઈને મસ્જિદ બોર્ડે ફેસલો લીધો છે કે તેમને હવે ઈમામ પદેથી હટાવી દેવા જોઈએ. શાહે કહ્યું કે બરકતી પર એ પણ આરોપ લાગ્યા છે કે તેમણે પોતાના અંગત કામો અને પોતાના બિઝનેસ માટે મસ્જિદ પરિસરનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે.નોંધનીય છે કે બરકતીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના નજીકના વર્તુળમાં ગણવામાં આવે છે. બરકતી અનેકવાર તૃણમૂલ કોંગ્રેસની રેલીઓમાં જોવા મળ્યાં હતાં. લાલબત્તીના મુદ્દે તેમણે એવું પણ કહ્યું હતું કે મમતા બેનરજીએ તેમને લાલબત્તી ન હટાવવા જણાવ્યું હતું. વિવાદ વધી જતા બરકતીએ ગાડી પરથી લાલબત્તી હટાવવી પડી હતી. બરકતીએ એવું કહીને લાલબત્તી હટાવવાની ના પાડી હતી કે તેઓ એક ધાર્મિક નેતા છે અને અનેક દાયકાઓથી લાલબત્તીનો ઉપયોગ કરી રહ્યા છે.