Aapnu Gujarat
ગુજરાત

રથયાત્રાની સલામતિને લઈ પરિસ્થિતિની સમીક્ષા

આગામી શનિવારે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે તે પહેલાં રથયાત્રા અને નાગરિકોની સુરક્ષા સહિતના પાસાઓને લઇ ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આજે રાજયના ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશનર એ.કે.સિંહ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ખૂબ જ મહત્વની બેઠક યોજી હતી. ગૃહરાજયપ્રધાને પોલીસ તંત્ર પાસેથી રથયાત્રાની સુરક્ષાને લઇ પોલીસનો એકશન પ્લાન જાણ્યો હતો અને કેટલાક અગત્યના સૂચનો પણ કર્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે માંડ અઠવાડિયાનો સમય બાકી છે ત્યારે પોલીસ દ્વારા છેલ્લા દસ દિવસથી શહેરભરમાં સુરક્ષાને લઇ ખાસ કરીને રથયાત્રાના સમગ્ર રૂટ પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને નાગરિકોની સલામતીને લઇ ભારે જહેમતભરી કવાયત શરૂ કરી દેવાઇ છે. પોલીસ દ્વારા રૂટના માર્ગો પર ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં મહત્વના પોઇન્ટ પર આ વખતે વધારાના સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. રથયાત્રા પહેલાં પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર રાત-દિવસ સતત પેટ્રોલીંગ અને સઘન ચેકીંગ પણ હાથ ધરાઇ રહ્યા છે. દરમ્યાન ગૃહરાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ ખાતે યોજાયેલી બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર, રાજયના ગૃહ સચિવ, અમ્યુકોના અધિકારીઓ, શહેર ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ સહિત પોલીસ તંત્રના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, આઇબીના અધિકારીઓ સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં ગૃહરાજયપ્રધાને રથયાત્રામાં કેટલો પોલીસ બંદોબસ્ત ફાળવવો, હોમગાર્ડ, એલઆરડી સહિતના સુરક્ષા જવાનો કઇ રીતે મદદ લેવી, તેમના પોઇન્ટની ગોઠવણી, બહારથી કેટલી સુરક્ષા કંપનીઓ મંગાવવી, સીસીટીવી કેમેરા, ડ્રોન મશીનની સુરક્ષાત્મક વ્યૂહરચના સહિતના મુદ્દાઓને લઇ ઝીણવટભરી ચર્ચા વિચારણા હાથ ધરી હતી અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
બેઠક બાદ ગૃહરાજયપ્રધાને જમાલપુર ખાતેના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે વિશેષ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ સુરક્ષાના પગલા અને વ્યવસ્થાનું નીરીક્ષણ કર્યું હતું. ગૃહરાજયપ્રધાને ભગવાન જગન્નાથજીના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ મંદિર પરિસર અને તેની બહાર ફરતે સુરક્ષા કવચને લઇ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા હાથ ધરી હતી. એ પછી ગૃહરાજયપ્રધાને રથયાત્રાના પરંપરાગત રૂટ પર પણ નીરીક્ષણ કર્યું હતું અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા, સલામતી પોઇન્ટ, સીસીટીવી કેમેરા, ધાબા પોઇન્ટ સહિતના મુદ્દાઓની જાત માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન ગૃહરાજય પ્રધાને ખુદ ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા હતા અને તેની તાત્કાલિક અમલવારી કરવા પણ તાકીદ કરી હતી.

Related posts

જુનિયર વકીલોને સ્ટાઇપેન્ડ માટે હવે ઝુંબેશ હાથ ધરાશે

aapnugujarat

સોમનાથમાં સ્વચ્છતા અભિયાન શરૂ

editor

लाखों किसानों के पास बिजली कनेक्शन नहीं : मनीष दोशी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1