સેટેલાઇટ ગેંગરેપકાંડમાં પીડિતાએ રવિવારે ક્રાઇમ બ્રાન્ચના વડા જે.કે. ભટ્ટ સામે ગંભીર આરોપો મૂકીને સમગ્ર બાબતને નવો વળાંક આપ્યો છે.
આ આરોપોનો પડઘો આજે સચિવાલયમાં પડ્યો હતો. ઇઝરાયેલના પ્રવાસ પૂરો કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોરે ગાંધીનગર પરત ફર્યા એ પહેલાં જ સમગ્ર મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે એક કલાકથી વધુ સમય માટે બેઠક યોજી હતી.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીએ સમગ્ર ઘટનામાં ફરિયાદીએ રજૂ કરેલી વિગતો અને અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં બહાર આવેલા નિષ્કર્ષ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમાં નીતિનભાઇ પટેલે સમગ્ર મુદ્દામાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સામે કરાયેલા આરોપોને ગંભીરતાથી લઇ જરૂર પડ્યે કોઇ અન્ય એજન્સી અથવા તો વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવી જોઇએ તેવો આગ્રહ રાખ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ મેડિકલ રિપોર્ટ પણ મગાવ્યો હતો.
મોડી સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પરામર્શ બાદ સમગ્ર તપાસમાંથી ક્રાઇમ બ્રાન્ચના વડા જે.કે. ભટ્ટને ખસેડવાની સૂચના જારી કરી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.
ગૃહ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે, સેટેલાઇટકાંડમાં પોલીસે અત્યાર સુધીમાં એકત્રિત કરેલા પુરાવા અને ફરિયાદીએ રજૂ કરેલી વિગતોને સાયન્ટિફિક ઢબે તપાસ કરવા માટે જરૂરી એજન્સીઓને સામેલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગયા સપ્તાહે પીડિતાએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ સાથે જ ભારે હડકંપ મચી ગયો હતો. અત્યાર સુધીમાં બળાત્કારકાંડમાં પીડિતાએ આપેલી ફરિયાદમાં જે યુવતિનું નામ અપાયું હતું એને પોલીસે રાજકોટ એરપોર્ટ ઉપરથી ઝડપી લઇને પૂછપરછ માટે અમદાવાદ લઇ આવી હતી.જોકે, તેને પૂછપરછ બાદ જવા દીધી હતી અને ગૌરવ દાલમિયા નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયો હતો. એની હજુ પોલીસે ધરપકડ કરી નથી. એની પાછળના કારણો પોલીસ ફરિયાદીની વિગતો અને સાંયોગિક પુરાવાઓમાં વ્યક્ત થતો વિરોધાભાસ કારણભૂત છે. પોલીસ તમામ પાસાંને આવરી લઇ તપાસ કરવા માગે છે જેથી જઘન્ય કૃત્યમાં કોઇ આરોપી પુરાવાના અભાવે છટકી શકે નહીં. બીજી તરફ, પીડિતાના આરોપોથી સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે તેથી હવે ગૃહ વિભાગે જ સમગ્ર તપાસ પર સીધી નજર રાખવાનું નક્કી કર્યું છે. સમગ્ર કેસમાં એક જ સપ્તાહમાં દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેવાની તજવીજ હાથ ધરવામાં આવી
છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ