Aapnu Gujarat
બ્લોગ

હિમાલયમાં શ્રદ્ધાનું શિખરઃ અમરનાથ યાત્રા

જય બાબા બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે પાની… બાબા અમરનાથ કી જય…ના ગગનભેદી નારાઓ સાથે આજથી, પૂનમથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે.હજારો શ્રદ્ધાળુઓ હિમાલયની ઠંડીગાર, અટપટી અને જોખમી પગદંડીઓ પાર કરીને ગુફામાં કુદરતી રીતે સર્જાતા ‘હિમશિવલિંગ’ અમરનાથ દાદાનાં ચરણોમાં નમન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે.ભારતમાં જે કેટલીક યાત્રાઓ અત્યંત જોખમી અને મુશ્કેલ ગણાય છે તેમાંની એક અમરનાથ યાત્રા છે. અમરનાથની યાત્રામાં દરરોજ તમારે તડકો, વરસાદ અને ઠંડીની ત્રણેય સઝનનો સામનો કરવો પડતો હોય છે. શ્રીમંત શ્રદ્ધાળુઓ દાદાની આ યાત્રા હેલિકોપ્ટરમાં ઊડીને કરે છે, પરંતુ મધ્યમવર્ગી અને ઉંમરલાયક ભક્તો તો ડોળી કે ઘોડે સવારી દ્વારા આ યાત્રા કરે છે. દર વર્ષે લાખ્ખો શ્રદ્ધાળુઓનો ધસારો રહેતો હોવાથી આ યાત્રા જૂન મહિનામાં શરૂ થાય છે અને શ્રાવણ સુદ પૂનમે ‘બાબાની છડીમુબારક’ બાદ યાત્રાની પૂર્ણાહુતિ થાય છે.માતા પાર્વતીજીએ અમર ચરિત્રની કથા સંભળાવવા માટે ભોલેનાથને વિનંતી કરી.
આ પવિત્ર કથા બીજા કોઈ સાંભળી ના જાય તે માટે ભોલેનાથ અને મા પાર્વતીજી એકાંત સ્થળે આવેલી આ ગુફામાં આવે છે. શેષનાગનું જે સ્થળ છે ત્યાં શેષનાગ અને ચંદનવાડીમાં ભોલેનાથની જટાની શોભા વધારતી ચંદ્રની એક કળાને મૂકી. ત્યાર બાદ જે ગુફામાં ભોલેનાથ અને મા પાર્વતીજી બિરાજમાન હતાં ત્યાં ભોલેનાથના મૃગચર્મની નીચે બે ઇંડાં બચી ગયેલાં. આ બન્ને જીવ પણ આ અમર ચરિત્રની કથા સાંભળીને અમર થઈ ગયાં. હાલમાં પણ શ્રદ્ધાળુઓ અમર કબૂતરની જોડીનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.સમુદ્રતટથી ૧૩,૫૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી બાબા અમરનાથની ગુફા સુધી પહોંચવા માટે બે રૂટથી યાત્રા શરૂ થાય છે. એક માર્ગ શ્રીનગરથી બાલતાલ જવાનો છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર પંદરેક કિલોમીટર થાય છે. આ માર્ગે વાહનો જતાં નથી. બીજો માર્ગ જમ્મુથી પહેલગાંવ જવાનો છે.યાત્રિકો મુખ્યત્વે પહેલગાંવથી આ યાત્રાની શુભ શરૂઆત કરતા હોય છે. ૩૨ કિલોમીટરની આ યાત્રામાં સીધા પર્વતીય ચઢાણ આવે છે તથા ખીણમાં ઊતરવાનું થાય છે. પાતળી હવામાં ખડક ચઢવાના હોય છે અને પગદંડી પર ચાલવાની સાથે સાથે નદી પર બનેલા કાચા-પાકા પુલ પર પસાર કરવાના હોય છે. અમુક સ્થળે બરફ બની ગયેલી નદી પર ચાલવાનું હોય અને વરસાદથી ભેખડ ધસી પડે તેવો માર્ગ પણ કાપવાનો થાય છે.જમ્મુ પહોંચ્યા પછી જમ્મુ-કાશ્મીર ટુરિઝમના માર્ગદર્શન હેઠળ યાત્રિકોને બસ મારફતે પહેલગાંવ પહોંચતા હોય છે.
જમ્મુથી પહેલગાંવ ૨૮૦ કિલોમીટર છે. આખાયે રસ્તે કુદરતી હરિયાળી, ઊંચા ડુંગરો, ખીણો, સુંદર વૃક્ષો અને ખળખળ વહેતા નીર જોવાનો લહાવો અનેરો છે. રસ્તામાં લાંબી જવાહર ટનલ પહાડમાં બોગદું પાડીને રસ્તો કાઢે છે. આ ટનલ પસાર કરો એટલે ધરતીનું સુંદર સ્વર્ગ કાશ્મીર!
અનંતનાગ થઈને યાત્રિકો પહેલગાંવ પહોંચે છે. જે બેઝ કેમ્પ તરીકે ઓળખાય છે અને અહીં રાત્રિરોકાણ કરવામાં આવે છે. પહેલગાંવથી ચંદનવાડી જવા મિની બસોની વ્યવસ્થા છે, જે અંતર ૧૬ કિલોમીટરનું છે. ચંદનવાડીથી ૧ કિલોમીટર જતાં જ પિસુટોપ નામનો પહાડ આવે છે. સાડા ત્રણ કિલોમીટરનું ચઢાણ કાપો એટલે આ પહાડની ટોચ ઉપર યાત્રિકો પહોંચે છે જે દરિયાઈ સપાટીથી ૧૦,૫૦૦ ફૂટ ઊંચાઈએ છે.એક તરફ પહાડ અને બીજી બાજુ ઊંડી ખીણનું વિરલ દૃશ્ય નજરે પડે છે. જ્યાં ઠંડા પાણીનાં ઝરણાં જોરદાર અવાજ સાથે વહે છે. રસ્તામાં ઠંડા પાણીનું મોટું સરોવર આવે છે અને આ સરોવરમાં ક્યારેક નાગદેવતાનાં દર્શન પણ થાય છે. શેષનાગના સ્થળે રાત્રિરોકાણ થાય છે. જ્યાં ભજનમંડળીના સૂર ભાવિક ભક્તોને ભક્તિરંગમાં ભીંજવી દે છે. શેષનાગથી દૂર નજર નાખશો તો પહાડની સાત ટોચો દેખાય છે.શેષનાગને જેમ સાત ફેણ હતી તેમ આ પહાડને પણ સાત ટોચ છે. પુરાણોક્ત કથા અનુસાર, અમર ચરિત્રની કથા વખતે ભગવાન ભોલેનાથે શેષનાગને આ સ્થળે મૂક્યા હતા. શેષનાગથી પંચતરણીનું ૧૨ કિલોમીટરનું અંતર મહાગુનુસ પહાડ પસાર કરીને સાંજે પંચતરણી પહોંચશો. અહીં નદીના પાંચ પ્રવાહ વહે છે, જે પાંચેય પ્રવાહ આગળ જતાં ભેગા થાય છે. આથી જ તેનું નામ પંચતરણી પડ્યું છે.
પંચતરણીમાં રાત્રિરોકાણ કર્યા બાદ અહીંથી અમરનાથ ગુફા છ કિલોમીટર છે.અમરનાથના દર્શન કરીને ફરી રાત્રિરોકાણ તો પંચતરણીમાં જ યાત્રિકે કરવાનું છે. પંચતરણીથી પહાડ ચડો અને ઊતરો એટલે તરત જ બિંદુ નામની બરફથી થીજી ગયેલ ૨ કિલોમીટરની નદી શરૂ થાય છે. બરફની નદી પર પગદંડીથી રસ્તો પાર કરો એટલે દૂરથી અમરનાથ ગુફાનાં દર્શન થાય છે. જે ગુફાનાં દર્શન કરીને યાત્રિકોનાં હૈયાં ભાવવિભોર બની જાય છે.૧૫૦ ફૂટની આ વિશાળ ગુફા ઉપર રામકુંડ આવેલ છે. ત્યાંનું પાણી આખી ગુફામાં બિંદુ સ્વરૂપે આશીર્વાદ આપતું યાત્રિકો પર ટપકે છે. આ જ બિંદુ સ્વરૂપે ટપતા પાણીથી ‘હિમશિવલિંગ’ બને છે. ઉપરાંત ગુફામાં આ પાણીથી માતા પાર્વતીજી અને ગણપતિ દાદાના સ્થળે પણ બરફ જામ છે. ભોલેનાથનો જયઘોષ કરીને યાત્રિકો બાબાનાં દર્શન કરી ધન્ય બને છે.હાલ ખૂબ જ જાણીતી અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે અને અનેક લોકો શ્રદ્ધાથી અમરનાથ જઈ રહ્યા છે. અમરનાથ ગુફા ભગવાન શિવના તીર્થ સ્થળો પૈકી ખૂબ જ પ્રખ્યાત છે. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ તે ગુફાની કથા અને તે કથાના રહસ્ય વિશે જેને સાંભળીને કોઈ પણ પ્રાણી અમર થઈ જાય છે.પુરાણોમાં કથા છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શંકરને પ્રશ્ન કર્યો કે એવું કેમ છે કે તમે તો અમર છો પણ મારે દરેક જન્મમાં નવા સ્વરૂપમાં આવીને વર્ષોની કઠોર તપસ્યા કર્યા બાદ તમને પ્રાપ્ત કરવા પડે છે. મારી આવી પરીક્ષા કેમ લેવામાં આવે છે? તમારા ગળામાં પરમુંડની માળા અને તમારા અમર થવા પાછળ શું રહસ્ય છે?
શિવજીએ પહેલાં તો આ ગૂઢ રહસ્ય બતાવા માટે ના પાડી પણ માતા પાર્વતીએ હઠ કરતાં તેમણે પોતાની અમર કથા સંભળાવી જેને આપણે અમરત્વની કથાના રૂપમાં જાણીએ છીએ. આ પવિત્ર અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એકાંતમાં ગુપ્ત સ્થાન પર આ અમર કથા સાંભળવા કહ્યુ કારણ કે આ કથાને જે કોઈ પણ પ્રાણી સાંભળે છે તે અમર થઈ જાય છે. આ માટે સૌથી પહેલાં ભગવાન શિવે પોતાના વાહન નંદીને પહલગામમાં છોડી દીધો, આ જ કારણથી અમરનાથની યાત્રા પહલગામથી શરૂ કરવામાં આવે છે.આગળ જતાં શિવજીએ પોતાની જટાઓમાંથી ચંદ્રને અલગ કરી દીધો તે જગ્યા ચંદનવાડીના નામથી ઓળખાય છે. આગળ જઈને પંચતરણીમાં તેમણે ગંગાજીને અલગ કર્યા અને કંઠાભૂષણમાં નાગોને છોડી દીધાં, આ જગ્યાનું નામ શેષનાગ પડયુ. આગળ જવા પર ગણેશ ટાપ પર શિવજીએ શ્રીગણેશને છોડી દીધાં આ સ્થળને મહાગુણા પર્વત પણ કહેવામાં આવે છે. પિસ્સૂ ઘાટીમાં તેમણે પિસ્સૂ નામના કીડાનો પણ ત્યાગ કર્યો. આ જ પ્રમાણે શિવજીએ જીવનદાયિની પાંચ તત્વોને પણ પોતાનાથી અલગ કરી દીધાં.ત્યારબાદ શિવજી માતા પાર્વતી સાથે એક ગુફામાં જતાં રહ્યા. કોઈ વ્યક્તિ અથવા પ્રાણી ગુફાની અંદર આવીને કથા ન સાંભળી લે તે માટે પોતાના ચમત્કારથી ગુફાની ચારેય બાજુ આગ લગાવી દીધી.ત્યારબાદ શિવજીએ જીવનની અમર કથા માતા પાર્વતીને સંભળવાનું શરૂ કર્યુ. કથા સાંભળતા સાંભળતા માતા પાર્વતીને ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગયા, શિવજીને આ વાતની ખબર ન પડી. ભગવાન શિવ કથા સંભળાવી રહ્યા હતાં ત્યારે બે સફેદ કબૂતર તે કથા સાંભળી રહ્યા હતાં અને વચ્ચે વચ્ચે ઘૂં-ઘૂંની અવાજ કરી રહ્યા હતાં એટલે ભગવાન શિવને એમ લાગતું હતું કે પાર્વતીજી કથા સાંભળતા સાંભળતા હુંકાર ભરી રહ્યા છે.આ રીતે બંને કબૂતરોએ આખી કથા સાંભળી લીધી. કથા સમાપ્ત થતાં ભગવાન શિવે જોયું કે પાર્વતીજી તો સૂઈ રહ્યા છે, તેમણે વિચાર્યુ કે તો કથા કોણ સાંભળી રહ્યુ હતું, ત્યારે તેમનું ધ્યાન કબૂતરો ઉપર પડયુ. શિવજી ખૂબ જ ક્રોધિત થયા અને તેમને મારવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે કબૂતરોએ ભગવાન શિવને વિનંતી કરી કે “પ્રભુ અમે તમારાથી અમર થવાન કથા સાંભળી છે, જો તમે અમને મારી દેશો તો આ કથા સાંભળીને પ્રાણી અમર થઈ જાય છે તે વાત ખોટી પડશે.” આ વાત સાંભળી શિવજીએ તે કબૂતરોને જીવીત છોડી દીધાં અને તેમને આશીર્વાદ આપ્યા કે તમે હંમેશાં આ સ્થાન ઉપર શિવ-પાર્વતીના પ્રતીક રૂપે નિવાસ કરશો.આ રીતે આ કબૂતરની જોડી અમર થઈ ગઈ. માનવામાં આવે છે કે આજે પણ અમરનાથ ગુફામાં આ કબૂતરોના દર્શન થાય છે. આ રીતે આ ગુફા અમર કથાની સાક્ષી બની અને તેનું નામ અમરનાથ ગુફા પડયું. અહીં શવજી બરફના પ્રાકૃતિક શિવલિંગના રૂપમાં વિરાજમાન છે. પવિત્ર ગુફામાં માતા પાર્વતી ઉપરાંત શ્રીગણેશના પણ બર્ફથી બનેલા પ્રતિરૂપના દર્શન કરી શકાય છે.ગુફાની શોધ કઈ રીતે થઈ તેની પણ એક કથા છે. એક વખત એક ગોવાળને એક સાધૂ મળ્યા તેમણે તે ગોવાળને કોલસાથી ભરેલી એક બોરી આપી જેને લઈ તે પોતાના ઘરે જતો રહ્યો. ઘરે આવીને જોયું તો બોરીમાં જે કોલસા હતાં તે સોનાના સિક્કામાં બદલાઈ ગયા હતાં.તે ગોવાળ પાછો તે જ જગ્યાએ ગયો જ્યાં તેને સાધુ મળ્યા હતાં, પણ ત્યાં તેને સાધુ નહીં દેખાયા, હવે ત્યાં એક ગુફા હતી. ચરવાહો તે ગુફાની અંદર ગયો તો તેણે જોયું કે અંદર ભગવાન શિવ બરફના બનેલા પ્રાકૃતિક શિવલિંગના રૂપમાં સ્થાપિત છે. તેણે આ વાત બધાંને જણાવી અને આ રીતે ગુફાની શોધ થઈ હતી. આજના સમયમાં દર વર્ષે પવિત્ર અમરનાથ ગુફાના દર્શન કરવા લાખો લોકો આવે છે.

Related posts

ભારતમાં બાળકોને તમાકુ કંપનીઓથી ખતરો

aapnugujarat

ચમત્કાર : નર વગર એનાકોન્ડાએ ૧૮ બાળકોને જન્મ આપ્યો

aapnugujarat

सरकार की दो अच्छी पहल

editor

Leave a Comment

UA-96247877-1