Aapnu Gujarat
Uncategorized

આજે ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળી

અમદાવાદ શહેરમાં આગામી તા.૧૪ જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની ૧૪૧મી ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકાળવામાં આવી હતી. જેઠ સુદ પૂનમથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સરસપુર ખાતેના તેમના મોસાળમાં પંદર દિવસ માટે રહેવા જશે. અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિરે પુનમના દિવસે જળયાત્રામાં ૧૫૧ ધ્વજ પતાકા, બેન્ડવાજા અને હાથી સાથે મંદિરેથી નીકળીને સાબરમતી નદીમાં સોમનાથ ભુદરના આરે જળ ભરવા પહોંચનાર છે. સોમનાથ ભુદરના આરેથી ૧૦૮ ધડામાં જળ ભરવામાં આવશે. સવારે ૮-૩૦ વાગ્યે ગંગાપૂજન વિધિ પૂર્ણ કરી લીધા બાદ બાદ સવારે ૧૦.૦૦ વાગ્યે આ જળથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીનો મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાનની ભવ્ય ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક બાદ તેમને સવારે ૧૧.૦૦ વાગ્યે ગજવેશ ધારણ કરાવવામાં આવી છે. ભગવાનના ગજવેશ દર્શન બાદ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન થયા હતાં એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવ્યો છે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. આજે ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાયે તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકાળવામાં આવી છે અને સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરશે. તા.૨૮મી જૂનથી તા.૧૨ જૂલાઇ દરમ્યાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજન-ધૂનના ભકિત કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે અને એ જ દિવસે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર સાથે નગરજનોના ખબરઅંતર જાણવા નગરયાત્રાએ નીકળશે અને એ જ ભવ્ય રથયાત્રા. અમદાવાદની રથયાત્રા જગન્નાથ પુરીની રથયાત્રા પછીની દેશની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા છે. અમદાવાદના જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે નિજમંદિરે પરત ફરે છે.
રથયાત્રા એ એક એવો લોકોત્સવ અને ભકિતપર્વ બની ગયું છે કે જેમાં સ્વયં જગતનો નાથ સામે ચાલીને પોતાના ભક્ત સમુદાયને ઉમળકાભેર મળવા વાજતે-ગાજતે નગરના રસ્તે નીકળી પડે છે ને સહુ તેને જય રણછોડ માખણચોરના દિક્ઘોષથી વધાવતાં રહે છે. ૧૪૦ વર્ષ પહેલાં અમદાવાદમાં ૧૮૭૮માં શરૂ થયેલી રથયાત્રાની પરંપરા હવે તો એક આગવી ઓળખ બની ગઇ છે. રથયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, જેમાં લાખો શ્રધ્ધાળુ ભકતો ઉપરાંત દેશભરમાંથી સાધુ-સંતો, મહંતો સહિતના અનેક મહાનુભાવો જોડાય છે.

Related posts

વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્રારા મહાબીજ નિમીતે જાલેશ્ર્વર મંદિર ખાતે ધ્વજારોહણ

aapnugujarat

હવે લડાખમાં ચીની જવાનોના ઘુસણખોરીના પ્રયાસો નિષ્ફળ

aapnugujarat

ગુજરાતમાં પ્રથમ ચરણમાં ૫૩ પટેલ ઉમેદવારો રહ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1