વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે એકબાજુ શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં પ્રાચીન શ્રી યોગ સાધન આશ્રમ ટ્રસ્ટના અગાઉ બની બેઠેલા ટ્રસ્ટી અને કહેવાતા યોગાચાર્ય બિરજુ આચાર્યનો ગંભીર વિવાદ સામે આવ્યો છે. આશ્રમના જ ટ્રસ્ટી અને માનદ્ સેક્રેટરી અતુલ પરીખ તથા અન્યો દ્વારા બની બેઠેલા ટ્રસ્ટી અને કહેવાતા યોગાચાર્ય બિરજુ આચાર્યની કેટલીક વિવાદીત હકીકતો પરત્વે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ધ્યાન દોરી સરકારી મશીનરીનો યોગના નામે આવા તત્વો કોઇ દૂરપયોગ ના કરે તેની ગંભીર ફરિયાદ અને રજૂઆત કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ તરફથી રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરાયો છે કે, ઇન ધ સીટી ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ યોગ થેરાપીસ્ટ-ઇન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના કરી વિશ્વ યોગ દિવસ નિમિતે આજે યોગ સેમીનારની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ આ કહેવાતા યોગાચાર્ય દ્વારા તેમની વેબસાઇટ પર ખુદ મુખ્યમંત્રીના લેખિત સંદેશો મૂકી તેનો દૂરપયોગ કરવામાં આવ્યો છે. યોગ સાધન આશ્રમના ટ્રસ્ટી અતુલ પરીખ દ્વારા ખુદ રાજયના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતના સત્તાવાળાઓનું ધ્યાન દોરાયું છે કે, આશ્રમમાં અગાઉ બની બેઠેલા ટ્રસ્ટી બિરજુ આચાર્ય, તેમના પિતા જનકપ્રસાદ આચાર્ય અને દાદા વિષ્ણુપ્રસાદ આચાર્યને વિરૂધ્ધ ખુદ રાજયના ચેરિટી કમિશરને ટ્રસ્ટના વહીવટમાં ગંભીર ગોટાળા, નાણાંકીય ગોલમાલ અને ગેરરીતિઓને ધ્યાનમાં લઇ ૨૦૧૩માં ટ્રસ્ટમાંથી દૂર કરી ટ્રસ્ટના સુચારું સંચાલન અને યોગ્ય વહીવટ માટે તેમના સ્થાને નવા ટ્રસ્ટીઓને સમાવ્યા હતા. જેમાંજશવંતલાલ શાહ, શ્રીમતી અંજનાબહેન બેંકર, ડો.નીતાબહેન ગોસ્વામી અને હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અરૂણભાઇ ડી.ઓઝા સહિતના આઠ જણાંને સમાવાયા હતા. એટલું જ નહી, ચેરિટી કમિશનરે તેમના ચુકાદામાં બિરજુ આચાર્ય સહિતના આ ત્રણેય પૂર્વ ટ્રસ્ટીઓ સામે ખૂબ જ ગંભીર અવલોકનો અને ટિપ્પણીઓ કરી હતી, જે ધ્યાને લઇ જો ભવિષ્યમાં આવા કહેવાતા તત્વો યોગ અને આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓની આડમાં રાજય સરકાર પાસેથી ગ્રાંટ કે અન્ય કોઇ લાભો માંગે તો સરકારે સાવધાની રાખવી જોઇએ. રજૂઆતમાં એ મુદ્દે પણ ધ્યાન દોરાયું છે કે, બિરજુ આચાર્ય જાણીબુઝીને તેમની અટક નામની આગળ લખે છે અને આચાર્ય બિરજુ મહારાજ તરીકે ઓળખ ઉભી કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે કે તેવો આચાર્ય અથવા તો મહારાજનું કોઇ બિરૂદ ધરાવે છે. ચેરિટી કમિશનરે જાન્યુઆરી-૨૦૧૩ના ચુકાદામાં બિરજુ આચાર્ય અને તેમના પિતા જનક આચાર્ય ટ્રસ્ટના ભંડોળનો ગંભીર દૂરપયોગ અને ગેરકાયદે રીતે આશ્રમનો કબ્જો લઇ લેવા બદલ તીખી આલોચના અને ગંભીર ટિપ્પણીઓ-અવલોકનો કરી તેમના આવા કૃત્યોને રદબાતલ ઠરાવ્યા હતા અને ત્યારબાદ નવા નીમાયેલા બોર્ડ ઓફ ટ્રસ્ટીને વહીવટ સોંપ્યો હતો. આ તમામ બાબતો પરત્વે પત્રની સાથે ચેરિટી કમિશરના ચુકાદાની નકલ સહિતના સંબંધિત પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, રાજયના તત્કાલીન ચેરિટી કમિશનર એસ.એ.દવેએ ૨૦૧૩ના તેમના ચુકાદામાં બિરજુ આચાર્ય અને તેમના પિતા વિરૂધ્ધ ગંભીર અવલોકનો કરતાં ઠરાવ્યું હતું કે, આ ટ્રસ્ટનો વહીવટ બિરજુ આચાર્યએ યેનકેન પ્રકારે ખૂંચવી લીધો હતો. એટલું જ નહી, ૨૦૦૭ પછી કોઇપણ હિસાબો નાયબ ચેરિટી કમિ.ની કચેરીમાં રજૂ થયા નથી. ટ્રસ્ટના વહીવટમાં ખૂબ જ ખરાબ રીતે ગંભીર ગોટાળાઓ થયા છે. વિશ્વ યોગ દિવસે જ કહેવાતા આ યોગાચાર્યના વિવાદને લઇ ભારે ચર્ચા ચાલી હતી.
(અનુસંધાન નીચેના પાને)
આગળની પોસ્ટ