ઓરી તથા રૂબેલા સામે રક્ષણ મેળવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ઓરી-રૂબેલા (એમ.આર.) ની રસી આપવાના હાથ ધરાયેલા કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા.૧૬ મી જુલાઇ, ૨૦૧૮ થી જિલ્લાની શાળાઓ તથા આઉટરીચ ક્ષેત્રોમાં સાર્વત્રિક રસીકરણની કામગીરીનો પ્રારંભ થશે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લામાં કલેક્ટરાલય ખાતે જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણનું સફળ અમલીકરણ થાય તે હેતુથી ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશનની યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી નિનામાએ નર્મદા જિલ્લામાં આ રસીકરણ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક લક્ષિત બાળક આવરી લેવાય અને રસીથી કોઇપણ બાળક વંચિત ન રહે તેની ખાસ કાળજી અને તકેદારી રાખવાની ખાસ હિમાયત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.એ. પટેલ, અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. વિપુલ ગામિત જનરલ-સિવિલ હોસ્પીટલના નિવાસી તબીબી અધિકારીશ્રી ડૉ. કોઠારી સહિત આરોગ્ય, શિક્ષણ, આઇ.સી.ડી.એસ. વગેરે વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં અપાયેલી જાણકારી મુજબ ન્યુમોનિયા, ઝાડા, મગજનો તાવ વગેરે જવા જીવલેણ રોગો ઉપરાંત જન્મજાત બધિરતા, હ્રદયની તકલીફ, જન્મજાત મોતિયો, એબોર્શન વગેરેથી રક્ષણ મેળવવા માટે આ સાર્વત્રિક રસીકરણ જ એક માત્ર ઉપાય છે. ઓરી અને રૂબેલા રસીકરણ ભારતના ૧૮ રાજ્યોમાં પૂર્ણ થયેલ છે. હાલ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં આ અભિયાન શરૂ કરાશે, જેમાં ૯ મહિનાથી ૧૫ વર્ષની ઉંમરના તમામ બાળકોને શાળામાં તથા આંગણવાડીમાં જઇને આરોગ્ય વિભાગ તરફથી ઓરી તથા રૂબેલાની રસી વિનામૂલ્યે અપાશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. કે.એ. પટેલે બેઠકમાં આપેલી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં હાથ ધરાનારા રસીકરણના આ અભિયાનના પૂર્વ આયોજન અને રસીકરણ દરમિયાન હાથ ધરાનારી દૈનિક કામગીરીના સફળ સંચાલન સહિતની અન્ય સૂક્ષ્માતિસૂક્ષ્મ બાબતો અંગે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરૂં આયોજન ઘડી કાઢીને તે દિશામાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લાનો નિર્ધારિત લક્ષ્યાંક સિધ્ધ થાય તે દિશાના ઘનિષ્ઠ પ્રયાસો પણ હાથ ધરાયાં હોવાનું શ્રી પટેલે ઉમેર્યું હતું.