શહેરના જૂહાપુરા વિસ્તારમાં બાગે નીશાત સોસાયટી પાસે અલ અમીન મસ્જિદ બહાર આજે સવારે હિસ્ટ્રિશીટર અને કુખ્યાત નઝીર વોરા પર કારમાં આવેલા ત્રણ શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જો કે, અચાનક થયેલા ફાયરિંગમાં નઝીર વોરા બચી ગયો હતો. વર્ના કારમાં આવેલા ત્રણ શખ્સોએ નઝીર વોરા પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને કારમાં નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે નઝીર વોરાએ વેજલપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રમજાન ઇદના બીજા જ દિવસે વહેલી સવારે નઝીર વોરા પર આ પ્રકારે અચાનક ફાયરીંગ કરવાની ઘટનાને પગલે આરોપીઓએ પ્લાનીંગ સાથે હુમલાને અંજામ આપ્યો હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. નઝીર વોરા પર ફાયરીંગની ઘટના સામે આવતાં પોલીસ પણ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બિલ્ડર કમ હિસ્ટ્રિશીટર નઝીર વોરા અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી જમીન અને ધાકધમકી આપવાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. તેની વિરૂધ્ધ ઘણા ગુનાઓ પણ નોંધાયેલા છે. જૂહાપુરા વિસ્તારમાં બાગે નીશાત સોસાયટી પાસે અલ અમીન મસ્જિદ બહાર નઝીર વોરા આજે સવારે નમાઝ અદા કર્યા પછી પોતાના સુઝુકી એક્સેસ સ્કુટર પર ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર કારમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા તેના પર અચાનક ફાયરીંગ થયું હતું. જો કે, આ ફાયરીંગમાં નઝીર વોરાનો અદ્ભુત બચાવ થયો હતો. વોરા બચી જતાં કારમાં આવેલા હુમલાખોર શખ્સો તરત જ ત્યાંથી પૂરઝડપે કાર હંકારી ફરાર થઇ ગયા હતા. નઝીર વોરા પણ અચાનક તેની પર થયેલા ફાયરીંગથી હેબતાઇ ગયો હતો, ઘટનાસ્થળે સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, પોલીસ પણ ઘટનાની જાણ થતાં હરકતમાં આવી હતી અને ફાયરીંગ પાછળ અંગત અદાવત છે કે બીજું કોઈ કારણ તે જાણવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યા છે અને ગાડીના નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો આદર્યા છે. પોલીસે આ હુમલાને લઇ સ્થાનિકોની પણ પૂછપરછ કરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ