વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, સરકાર સમક્ષ હવે સૌથી મોટો પડકાર આર્થિક વૃદ્ધિદરને ૧૦ ટકાની આસપાસ પહોંચાડી દેવાનો રહેલો છે. તેમણે કહ્યું હતું કે, આના માટે ઘણા બધા મહત્વપૂર્ણ પગલા લેવાની જરૂર પડશે. નીતિ આયોગ ગર્વનિંગ કાઉન્સિલની ચોથી બેઠક આજે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં યોજાઈ હતી જેમાં મોદીએ પોતાના ઉદ્ઘાટન નિવેદનમાં અનેક મહત્વપૂર્ણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, જુદા જુદા રાજ્યોને સાથે રાખીને આક્રમક નીતિ સાથે લોકોના સપનાને પૂર્ણ કરવાની જરૂર દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની સંચાલન પરિષદની ચોથી બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધતા મોદીએ આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રએ મજબૂત ૭.૭ ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો છે. હવે પડકાર આ વૃદ્ધિદરને બે આંકડા સુધી લઇ જવાનો રહેલો છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૨ સુધી ન્યુ ઇન્ડિયાનું સપનું હવે દેશના લોકો માટેનો એક સંકલ્પ છે. મોદીએ આ સંદર્ભમાં બેઠકના એજન્ડામાં સામેલ કરવામાં આવેલા મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ખેડૂતોની આવકને બે ગણી કરવા, અપેક્ષા કરતા પાછળ રહી ગયેલા જિલ્લાઓના વિકાસ કરવાની બાબત, આયુષ્યમાન ભારત, મિશન ઇન્દ્રધનુષ, પોષણ મિશન અને મહાત્મા ગાંધીની ૧૫૦મી જ્યંતિનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને એમ પણ કહ્યું હતું કે, જીએસટીને લાગૂ કરવાની બાબત ટીમ ઇન્ડિયાની ભાવનાનો એક દાખલો છે. મોદીએ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીઓના પેટાગ્રુપ અને સમિતિઓમાં પોતાના કાર્યો મારફતે સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ લેવડદેવડ અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દા ઉપર નીતિ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. મોદીએ પોતાના સંબોધનમાં પુરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને તમામ પ્રકારની કેન્દ્રીય સહાયતા ઉપલબ્ધ કરાવવાની પણ ખાતરી આપી હતી. મોદીએ કહ્યું હતું કે, ગવર્નિંગ કાઉન્સિલ એક એવા પ્લેટફોર્મ તરીકે છે જે દેશના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન લાવી શકે છે. મોદીએ ઉમેર્યું હતું કે, દેશના કેટલાક રાજ્યોમાં હાલ પુરની સ્થિતિ છે પરંતુ પુરતી મદદ કરવામાં આવી રહી છે. મોદીએ એમ પણ કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીઓએ પોલિસી ફોર્મ્યુલેશનમાં ચાવીરુપ ભૂમિકા અદા કરી છે. આ પેટાગ્રુપની ભલામણો જુદા જુદા મંત્રાલયો અને કેન્દ્ર સરકાર માટે મહત્વપૂર્ણ રહી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, ૧.૫ લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટરો આયુષ્યમાન ભારત પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ૧૦ કરોડ પરિવારોને દર વર્ષે પાંચ લાખ રૂપિયાના હેલ્થ ઇન્સ્યોરન્સની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષણ માટે એક સર્વગ્રાહી અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે.
મુદ્રા યોજના, જનધન યોજના, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવી સ્કીમોના પરિણામ સ્વરુપે લોકોની ફાઈનાન્સિયલ ભાગીદારી વધી છે. પ્રાથમિકતાના આધાર ઉપર આર્થિક અસમતુલા દૂર કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ગ્રામ સ્વરાજ અભિયાન સ્કીમોના અમલીકરણ માટે નવા મોડલ તરીકે છે. બેઠકમાં મોદીનું સંબોધન