પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ બાદ પુરની સ્થિતિ હજુ પણ જટિલ બનેલી છે. બચાવ અને રાહત કામગીરી અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલી રહી છે. ત્રિપુરા, મિઝોરમ અને આસામમાં સ્થિતિમાં આંશિક સુધારો થયો હોવા છતાં હજુ ઘણા પગલાં લેવાની જરૂર છે. ત્રિપુરામાં પુરની સ્થિતિમાં આંશિક રીતે સુધારો થયો છે પરંતુ હજુ પણ ૧૮૯ રાહત કેમ્પોમાં ૪૦ હજાર લોકોને આશરો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવે ગઈકાલે ઉનાકોટી જિલ્લાના સબ ડિવિઝનમાં સૌથી વધુ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. સાથે સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. જેમાં પીડબલ્યુડી, જળસંસાધન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુશ્કેલીમાં મુકાયેલા લોકો સુધી રાહત સામગ્રી વહેલીતકે પહોંચાડવા માટે અધિકારીઓને મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો. આઈએએફના બે હેલિકોપ્ટરની સેવા રાહત કામગીર માટે પહેલાથી જ લેવામાં આવી ચુકી છે. પુરગ્રસ્ત કૈલાશહાર સબડિવિઝનમાં ૨૧ હજાર લોકો ઘરવિહોણા થયેલા છે. બીજી બાજુ આસામમાં પણ સ્થિતિ આવી જ થયેલી છે. વરસાદ હજુ જારી હોવાથી બચાવ અને રાહત કામગીરી આડે અડચણો આવી રહી છે. ત્રિપુરામાં આના કારણે ચાર લોકોના મોત થયા છે અને અનેક લોકોને માઠી અસર થઈ છે. મોટાભાગની નદીઓ ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે. ભેખડો ધસી પડવાના અનેક બનાવો બન્યા છે. કારણે વાહન વ્યવહારને માઠી અસર થઇ છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવે રાજ્યના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિની માહિતી મેળવવા હવાઈ નિરીક્ષણ કર્યું છે. નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ગુવાહાટીથી પ્રાપ્ત અહેવાલ મુજબ આસામમાં પણ હાલત કફોડી બનેલી છે. ઉત્તરપૂર્વીય પુરના લીધે ત્રિપુરા અને આસામના જુદા જુદા ભાગોમાં રેલ સેવા ખોરવાઈ ગઈ છે. નોર્થઇસ્ટ ફ્રન્ટીયર રેલવે દ્વારા આસામના લુમડીંગ-બાદરપુર હિલ સેક્શનમાં ભારે વરસાદના લીધે અનેક ટ્રેનો રદ કરી દીધી છે. બારક ખીણમાં પુરની સ્થિતિ વણસી ગઇ છે. બારક ખીણ બાંગ્લાદેશની સરહદ ઉપર સ્થિત છે. સ્ટેટ આઇલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ વિભાગનું કહેવું છે કે, તમામ મોટી નદીઓમાં પાણીની સપાટી વધવાના લીધે ફેરી સેવા બંધ કરી દેવામાં આવી છે. નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. દેશના જુદા જુદા ભાગોમાં મોનસુનની એન્ટ્રી હવે ઝડપથી થઇ રહી છે. બોકાહાટ સબડિવિઝનમાં ભારે વરસાદ બાદ નેશનલ હાઇવે ૩૭ ઉપર પુરના પાણી ફરી વળ્યા છે. આસામના ગોલાઘાટ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. ગુવાહાટી ડિવિઝનમાં પાણીની સપાટી નદીઓમાં વધી રહી છે. આસામના કરીમગંજ જિલ્લામાં પુરગ્રસ્ત લોકોને નૌકાઓ મારફતે સુરક્ષિત ખસેડવામાં આવી રહ્યા છે. જુદા જુદા વિસ્તારમાં ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. જે ટ્રેનોને રદ કરવામાં આવી છે તેમાં સિલ્ચર ફાસ્ટ પેસેન્જરનો સમાવેશ થાય છે. જો કે, અસરગ્રસ્ત સેક્શનની ઉપર કોઇપણ પેસેન્જર ટ્રેન સેવા ખોરવાઈ નથી. આસામમાં પુરના કારણે કેટલું નુકસાન થયું છે તે અંગે હજુ આંકડા એકત્રિત કરવામાં આવ્યા નથી પરંતુ અધિકારીઓ બચાવ અને રાહત કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ