આજરોજ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા સુરતના માંડવી ખાતે નેશનલ હાઇવે નં.૫૬ પર રૂ.૫૬ કરોડના ખર્ચે બનનાર બ્રિજનું ભુમિપુજન કર્યુ હતું.
આ પ્રસંગે સંબોધતા મંત્રીશ્રીએ જણાવેલ કે દેશના વિકાસ માટે રાજમાર્ગોનું નિર્માણ કરવું અનિવાર્ય છે. માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ વાળી સરકાર રાજમાર્ગોનાં નિર્માણ પર ભાર મૂકી રહેલ છે. વર્ષ ૨૦૧૦-૧૪ દરમિયાન ચાર વર્ષમાં UPA સરકાર દ્વારા કુલ ૨૯,૩૦૦ કીમી રાજમાર્ગોના નિર્માણ માટે એવોર્ડ આપેલા. જ્યારે વર્તમાન સરકારનાં ચાર વર્ષમાં ૫૧,૦૭૩ કિમી રાજમાર્ગોના નિર્માણ માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. નવા ભારતના નિર્માણ માટે દેશમાં રોડ કનેક્ટિવિટીને પ્રાધાન્ય આપતા સરકારે “ભારતમાલા” પ્રોજેક્ટ અમલમાં મુકેલ છે. જે અંતર્ગત પ્રથમ ચરણમાં કુલ ૩૫૦૦૦ કિમી રસ્તાઓનું નિર્માણ રૂ ૫,૩૫,૦૦૦ કરોડ ખર્ચે કરવાની યોજનાને મંજુરી આપેલ છે. ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ આગામી ૩ થી ૫ વર્ષ દરમિયાન હાથ ધરવા લાયક કામોમાં જુદા-જુદા ૫૭૫૧ કિમી લંબાઈના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને તથા ૭ લોજીસ્ટીક પાર્ક્સને રૂ ૧,૦૨,૧૭૦ના ખર્ચે સૈદ્ધાંતિક રીતે મંજુર કરાયેલ છે. જે પૈકીનો પ્રથમ લોજીસ્ટીક પાર્ક સુરત ખાતે નિશ્ચિત કરાયેલ છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ ૫૦૫૪ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગો આવેલા છે. જે પૈકીના ૧૦૯૩ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ એપ્રિલ-૨૦૧૪ પછી ઉમેરાયા છે. ગુજરાતમાં હાલમાં જુદા-જુદા ૩૮ જેટલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહેલ છે જેનો કુલ અંદાજીત ખર્ચ રૂ ૧૪,૪૮૮ કરોડ જેટલો છે. આ ઉપરાંત ૨૧૪૮ કિમી જેટલા માર્ગોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે જેનો અંદાજીત ખર્ચ રૂ. ૨૫ હજાર કરોડ જેટલો થશે.