વ્યાજદરમાં રાહત મળવાની રાહ જોઈ રહેલા સામાન્ય લોકોને આજે મોટો ફટકો પડ્યો હતો. રિઝર્વ બેંકે આ સંદર્ભમાં આજે પરિણામ જાહેર કર્યા હતા અને રેપોરેટમાં વધારો કર્યો હતો. રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યા બાદ રેપોરેટ વધીને હવે ૬.૨૫ ટકા થઇ ગયો છે. રિવર્સ રેપોરેટ પણ છ ટકા કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કોમર્શિયલ બેંકો તરફથી આપવામાં આવતા હોમલોન, ઓટો લોન સહિત તમામ લોન મોંઘી થઇ ગઇ છે. બેંકો તરફથી માર્જિનલ કોસ્ટ આધારિત ધિરાણદરમાં વધારો કરવામાં આવી શકે છે. કહેવાનો મતલબ એ છે કે, બેંકો પણ હવે લોનના દરોમાં વધારો કરી શકે છે. કેટલીક બેંકોએ પહેલાથી જ વધારો કરી દીધો છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પહેલાથી જ બે વખત વ્યાજદરમાં વધારો કર્યો છે. ગયા સપ્તાહમાં જ બેંકે કોઇપણ અવધિ માટે એમસીએલઆરમાં ૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. એચડીએફસી બેંક, પંજાબ નેશનલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ તરફથી પણ વધારો કરવામાં આવ્યો છે. બેંક લોન લેવા ઇચ્છુક લોકોને ફટકો પડ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છુટછાટને અમલી કરવામાં આવી નથી. આવકના આધાર પર સરકાર દ્વારા આપવામાં આવેલી છુટછાટ છે. જે લોકોએ પહેલાથી જ લોન લીધેલી છે તેમના ઈએમઆઈ ઉપર પણ આની અસર થશે. રેટની સરખામણીમાં અન્ય બેંકો પણ સાવધાનીપૂર્વક આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. રિઝર્વ બેંકે વ્યાજદર વધારી દીધા છે.
પાછલી પોસ્ટ