ખેડુતો દસ દિવસના ગામડા બંધના આજે છઠ્ઠા દિવસે આંદોલનની અસર દેખાવવા લાગી ગઇ છે. ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. બીજી બાજુ ખેડુત સમુદાયને મનાવી લેવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. બેઠકોનો દોર જારી છે. દેશની મોટી મંડીઓમાં શાકભાજીની કમી હવે દેખાવવા લાગી ગઇ છે. દિલ્હી, મુંબઈ, કોલકાતામાં હજુ સુધી પુરવઠાને કોઇ માઠી અસર થઇ નથી પરંતુ જયપુર સહિતના કેટલાક શહેરોમાં શાકભાજીના ભાવમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થઇ ગયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં આગામી થોડાક મહિનામાં ચૂંટણી યોજાનાર છે ત્યારે ખેડૂતોની નારાજગી ભાજપને મુશ્કેલીમાં મુકી શકે છે. ખેડૂતોની હડતાળ વચ્ચે આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. રાષ્ટ્રીય કિસાન મહાસંઘના પ્રવક્તા અભિમન્યુ કોહરનું કહેવું છે કે, હડતાળ ૧૦મી જૂન સુધી ચાલશે.છુટાછવાયા પ્રિ-મોનસુની વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેથી વાવણી માટે સારા સંકેત છે. હડતાળના લીધે કિંમતો પણ સતત વધી રહી છે. સ્થિતી હજુ વધારે ગંભીર બને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ખેડુતો તેમની લોન માફી સહિતની જુદી જુદી માંગને લઇને મક્કમ બનેલા છે. જેથી તેઓ તેમની પેદાશોને લઇને મક્કમ બનેલા છે. જાહેરમાં શાકભાજી અને દુધ સહિતની ચીજોને ફેંકી રહ્યા છે પરંતુ શહેરી વિસ્તારોમાં ચીજો મોકલી રહ્યા નથી. સરકારના નિયમો સામેના વિરોધમાં શાકભાજી, દુધ, અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ ખેડૂતો જાહેર રસ્તાઓ ઉપર ફેંકી રહ્યા છે. સાથે સાથે શહેરોમાં સપ્લાય પણ રોકી ચુક્યા છે.