મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે શહેરના મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત શૌર્યના પ્રતિક સમાન મેવાડના મહારાણા પ્રતાપની પ્રતિમાનું ગોડાદરા ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય રાજપૂત સમાજ આયોજિત પ્રતિમા અનાવરણ સમારોહમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપ મોગલ શાસન સામે સ્વમાનભેર લડાઇ લડીને કદી ન ઝુક્યા, અને રજપૂતને શોભે એ રીતે પોતાના પ્રાણોની આહૂતિ આપી દીધી. મોઘલો સામે ઝીંક ઝીલવા જંગલમાં વર્ષો સુધી રહી સંઘર્ષમય જીવન ગુજારીને એક આદર્શ કર્તુત્વભર્યા જીવનથી આજે પણ દેશને કોટિ કોટિ માનવીઓને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
રાણા પ્રતાપની બહાદૂરી વિશે મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાણા પ્રતાપ દેશ, ધર્મ અને સંસ્કૃતિ માટે સમર્પણનું પ્રતિક છે. ‘રાણા શિવા કા ફિર સે ઉદય હો.. માં ભારતી તેરી જય જય હો..’ આ ઉક્તિ સાર્થક ઠેરવવા મહારાણાના જીવનના સમર્પણભાવમાંથી શીખ લેવા આહ્વાન કર્યું હતું. ત્યાગ,બલિદાન અને સમર્પણની મૂર્તિ એવાં મહારાણા પ્રતાપની પ્રતિમાના નિર્માણથી તેમને અંજલિ આપવા બદલ સુરતના રાજપૂત મહારાષ્ટ્રની સમાજને ધન્યવાદ આપ્યા હતા. મહારાણા પ્રતાપના શૌર્ય અને વીરતાપૂર્ણ જીવનના ભવ્ય ઇતિહાસને યાદ રાખી તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનો પણ સર્વને અનુરોધ કર્યો હતો. પ્રતિમાના અનાવરણથી મહારાણા પ્રતાપના માતૃભૂમિ માટેનાં સમર્પણને જીવંત રાખવા બદલ મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજને અભિનંદન પાઠવ્યા હતા
મહારાણા પ્રતાપની પ્રતિમા માટે કિંમતી જમીનનું દાન કરનાર દાતાશ્રી ભરતસિંહ સિસોદિયાનું મુખ્યમંત્રીશ્રી દ્વારા સન્માન કરાયું હતું.
આ પ્રસંગે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી જયકુમાર રાવલ, મેયર શ્રીમતી અસ્મિતાબેન શિરોયા, સાંસદ સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિવેક પટેલ, સંગીતા પાટીલ, ઝંખના પટેલ, જિલ્લાનાં અગ્રણીઓ દિલીપસિંહ રાઠોડ, નીતિન ભજીયાવાલા, ભરતસિંહ પરમાર, મદનસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં અખિલ ભારતીય રાજપૂત સમાજ અને મહારાષ્ટ્રીયન રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.