કર્ણાટકમાં બહુમતી પુરવાર કરવાથી પહેલા કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યું છે. બીએસ યેદીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર ગબડી ગયા બાદ રાજ્યપાલ એચડી કુમારસ્વામીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે. હવે કોંગ્રેસ અને જેડીએસ બંને બહુમતી પુરવાર કરવા સુધી પોતાના ધારાસભ્યો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. બંને પક્ષોએ પોત પોતાના ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યોને હોટલોમાં નજરબંધ રાખ્યા છે. તેમના ઉપર ઘર સુધી નજર રાખવામાં આવી રહી છે. પોતાના ઘરે જવાની પણ મંજુરી આપવામાં આવી રહી નથી. બુધવારના દિવસે મુખ્યમંત્રી તરીકે કુમારસ્વામી શપથ લેનાર છે. કુમારસ્વામીએ જીતનો દાવો કર્યો છે પરંતુ બહુમતી પુરવાર કરતા પહેલા કુમારસ્વામી કોઈ તક લેવા ઈચ્છુક નથી. કોંગ્રેસે પોતાના ૭૮ ધારાસભ્યોને પોતાના ઘરે જવાની પણ તક આપી નથી. તેમને હોટલ હિલ્ટનમાં રાખવામાં આવ્યા છે. રવિવારના દિવસે જેડીએસના ધારાસભ્યોને પણ આજ હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કેટલાક ધારાસભ્યો પોતાના ક્ષેત્રમાં જવા માટે ઈચ્છુક હતા પરંતુ ધારાસભ્યોને હોટલમાં જ રોકાવા માટે કહેવામાં આવ્યું છે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ જી પરમેશ્વરાનું કહેવું છે કે ફ્લોર ટેસ્ટ થાય ત્યાં સુધી તમામ ધારાસભ્યોને હોટલમાં રહેા માટે કહેવામાં આવ્યું છે. આજે ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી. મુખ્યમંત્રી બનવા જઈ રહેલા કુમારસ્વામીએ પોતાના ધારાસભ્યોને રાજ્યની સત્તામાં આવી ગયા બાદ પોતાના મહત્વના સંદર્ભમાં વાત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં પ્રશ્ન પાર્ટીના અસ્તિત્વનો રહેલો છે. પિતા એચડી દેવગૌડાના કેબિનેટ નિર્ણયને પણ ધ્યાનમાં લેવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી. બીજી બાજુ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા, મલ્લિકાર્જુન ખડગે, ડીકે શિવકુમાર, કેસી વેણુગોપાલે ધારાસભ્યોની સાથે વાતચીત કરી છે અને તેમને પાર્ટીના નિર્ણયને પાળવા માટે સૂચના આપી છે. શિવકુમારનું કહેવું છે કે તમામ નિર્ણય લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને કરાયા છે.
આગળની પોસ્ટ