મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, બે આત્માઓના પવિત્ર બંધનને આપણી સંસ્કૃતિમાં લગ્નથી ઓળખવામાં આવે છે. મુખ્યમંત્રી સાબરકાંઠાના તલોદ તાલુકાના વાવ ખાતે વિરેશ્વરજી મહાદેવ મંદિર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સંસારિક જીવનમાં પ્રભુતાના પગલાં માંડનાર ૪૭ નવદંપતિને આર્શીવાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે લગ્ન બાદ પતિએ પત્નીને સાચવવાની જવાબદારી છે. પત્ની પતિએ એકબીજાને આદર કરવો જોઈએ. તે સુખી લગ્નજીવન માટે ખુબ જરૂરી છે. આ પાંચમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર સર્વને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં સમૂહલગ્ન જરૂરી અને આવશ્યક બની ગયા છે. કારણ કે મધ્યમ વર્ગ અને આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવા પરિવાર માટે લગ્ન ક્યારેક ચિંતારૂપ બની જાય છે. આવા પરિવારોની જવાબદારી સમાજના અગ્રણીઓએ સમૂહલગ્નોત્સવ રૂપે ઉઠાવી લીધી છે તે વાત ધન્યવાદને પાત્ર છે. ૪૭ નવદંપતિઓને રાજ્ય સરકારના સાત ફેરા સમૂહલગ્ન યોજના અને કુંવરબાઈનું મામેરૂ યોજના અંતર્ગત ૨૦ હજાર દરેક નવદંપતિને આપવામાં આવ્યા હતા. ૫૦ હજારનો ચેક રાજ્ય સરકાર દ્વારા વિરેશ્વરજી મહાદેવ મંદિરને સમૂહલગ્નોત્સવનું આયોજન કરવા માટે આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય જયસિંહ ચૌહાણ, જાણીતા કલાકાર નરેશ કનોડિયા સહિત મોટી સંખ્યામાં સર્વજ્ઞાતિના ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા.