કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આજે સવારે એકબાજુ મોદીએ નમો એપથી વાત કરી હતી. બીજી બાજુ રાહુલે પત્રકાર પરિષદ યોજી હતી. રાહુલે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા કહ્યું હતું કે, ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર યેદીયુરપ્પા જેલ જઇને આવી ચુક્યા છે. રાહુલે દલિતો અને મહિલાઓ ઉપર અત્યાચારના મામલે મોદી ઉપર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કર્ણાટક માટે કોંગ્રેસની અગાઉની સરકારોએ ૩૫૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. રાહુલે કહ્યં હતું કે, ભાજપના રેડ્ડી બંધુ પૈસાની ઉચાપદ કરી રહ્યા છે. ભાજપના એવા લોકોને ટિકિટ મળી છે જે લોકો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ થયેલા છે. મોદીએ રાફેલ ડિલના સંદર્ભમાં એકબાજુ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે જ્યારે બીજી બાજુ રાહુલે કહ્યું છે કે, રાફેલ ડિલ મોદીના મિત્રો માટે ખુબ સારી ડિલ રહી છે. દલિતો અને મહિલાઓ ઉપર અત્યાચાર કરવાના મુદ્દે રાજનીતિ ન કરવા રાહુલે કહ્યું હતું કે, રોહિત વેમુલાના મુદ્દે વડાપ્રધાન મૌન કેમ રહ્યા હતા. દલિત હોવાના કારણે રોહિત વેમુલાની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે મહિલાઓ ઉપર અત્યાચાર થઇ રહ્યા છે ત્યારે કોંગ્રેસ કેમ વાત કરશે નહીં. આમા રાજનીતિની કોઇ વાત નથી. મહિલાઓના સન્માન સાથે જોડાયેલો આ મામલો છે. રાહુલ પોતાની માતાને લઇને ભાવનાશીલ પણ દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, તેમની માતા ઇટાલીમાં છે પરંતુ લાઇફની મોટાભાગની હિસ્સેદારી ભારતમાં ગાળી છે. સોનિયા ગાંધી અન્ય લોકોની જેમ જ સંપૂર્ણ ભારતીય છે. ઘણું બધુ સહન કર્યું છે. ત્યાગ પણ કર્યો છે. વડાપ્રધાને તેમના ઉપર વ્યક્તિગતરીતે જે પ્રહાર કર્યા છે તે એક બંધારણીય હોદ્દા પર બેઠેલી કોઇપણ વ્યક્તિને શોભા આપતી નથી. ભાજપના હિન્દુત્વના મુદ્દા ઉપર પણ રાહુલે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, કોઇપણ ધર્મના સ્થળ ઉપર તેઓ જઇ શકે છે.