ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીને ૨૦૧૯માં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડી ગયો છે. માયાવતીની સામે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મામલો તેમના શાસનકાળ દરમિયાન વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૧માં વેચવામાં આવેલી ૧૧ ખાંડ મિલો સાથે સંબંધિત છે. એમ માનવામાં આવે છે કે, આ ખાંડ મિલોને વેચવાથી પ્રદેશ સરકારને ૧૧૭૯ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. માયાવતી ઉત્તરપ્રદેશમાં ૨૦૦૭થી લઇને ૨૦૧૨ સુધી સત્તામાં રહ્યા હતા. માયાવતીના નજીકના રહેલા નસીમુદ્દીન સીદ્દીકીએ ગયા વર્ષે આક્ષેપ કર્યો હતો. ખાંડ મિલો તત્કાલિનમુખ્યમંત્રી માયાવતી અને બહુજન સમાજ પાર્ટીના મહાસચિવ સતિષચંદ્ર મુમિશ્રાના ઇશારે વેચવામાં આવી હતી. અલબત માયાવતીએ દાવો કર્યો હતો કે, ખાંડ મિલોને વેચવા માટેનો જે આદેશ થયો હતો તેના ઉપર નસીમુદ્દીન સિદ્દીકીના હસ્તાક્ષર હતા. માયાવતી સરકાર પર આક્ષેપ છે કે, આ સરકારે ૨૧ ખાંડ મિલોને વેચી મારી હતી જે પૈકીની ૧૦ મિલો સંચાલિત હતી. તેની બજાર કિંમતોથી ખુબ ઓછી કિંમતે વેચવામાં આવી હતી. આ ખાંડ મિલો ૫૦૦ હેક્ટર વિસ્તારમાં બની હતી. તે વખતે તેની કિંમત ૨૦૦૦ કરોડ રહી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કૌભાંડની તપાસ કરવા માટે સીબીઆઈને ૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે પત્ર લખ્યો હતો. આમા કહેવામાં આવ્યું હતું કે, પ્રદેશની જે પણ ૨૧ ખાંડ મિલો હતી તે તમામ બોગસ દસ્તાવેજોના આધારે બનાવવામાં આવેલી બોગસ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવી હતી. જે ખાંડ મિલો ખરીદવામાં આવી હતી તેમાં દેવરિયા, બરેલી, લક્ષ્મીગંજ, હરદોઇ, રામકોલા, ચિત્તોની અને બારાબંકીની બંધ પડેલી સાત ખાંડ મિલો પણ સામેલ છે. યોગી સરકારે આ મામલામાં જે નોટિફિકેશન જારી કર્યું હતું તેમાં લખવામાં આવ્યું હતું કે, દોષિતો પ્રદેશની બહાર પણ હોઈ શકે છે જેથી સીબીઆઈ તપાસ થવી જોઇએ. હરાજી કરવામાં આવેલી ૨૧ ખાંડ મિલોમાં ગેરરીતિઓ સપાટી ઉપર આવી હતી.