સુપ્રીમ કોર્ટે કઠુઆમાં આઠ વર્ષીય બાળકી પર ગેંગરેપ અને હત્યાના બે આરોપીઓની અરજી ઉપર સુનાવણી ચલાવવા સહમતિ દર્શાવી છે. જમ્મુમાં આ કેસમાં ટ્રાયલ ચલાવવામાં આવશે. તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે આરોપીઓની અરજી ઉપર સુનાવણી કરવા તૈયારી દર્શાવી છે. આરોપી સાંજીરામ અને વિશાલ જનગોત્રા તરફથી પણ અરજી કરવામાં આવી ચુકી છે. આમા જણાવવામાં આવી ચુક્યું છે કે, ભોગ બનેલી બાળકીના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં પાર્ટી તરીકે તેેમને રજૂ કરવા માટે પ્રયાસ થઇ રહ્યા છે. આઠ વર્ષીય બાળકીના પિતાએ અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને એવી દહેશત વ્યક્ત કરી હતી કે, તેમના પરિવાર સામે ખતરો રહેલો છે. તેમના વકીલ ઉપર પણ ખતરો રહેલો છે. આ કેસમાં જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસને લઇને સંતોષ વ્યક્ત કરતા બાળકીના પિતાએ કઠુઆથી ટ્રાયલને ચંદીગઢ કોર્ટમાં ખસેડવાની પણ માંગણી કરી હતી. જો કે, આરોપીએ આની સામે વાંધો ઉઠાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હવે આ કેસમાં ટ્રાયલ જમ્મુમાં જ હાથ ધરવામાં આવનાર છે. ૧૦મી જાન્યુઆરીના દિવસે જમ્મુ ક્ષેત્રમાં કઠુઆ નજીક એક ગામમાંથી બાળકી લાપત્તા થઇ ગઇ હતી અને તેનો મૃતદેહ એક સપ્તાહ બાદ મળી આવ્યો હતો. આ કેસમાં તપાસ કરનાર રાજ્ય પોલીસની ક્રાઈમ બ્રાંચે સાત લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ ઉપરાંત ગયા સપ્તાહમાં કઠુઆ જિલ્લામાં કોર્ટમાં એક કિશોર સામે પણ અલગ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં બાળકીના અપહરણ, તેને પકડીને રાખવા અને પૂજાના સ્થળની અંદર બળાત્કાર ગુજાર્યાની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આગળની પોસ્ટ