જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જૈશના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી યાસીરનું મોત થયું છે. આજે જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી સેસ પૌલ દ્વારા આ મુજબની માહિતી ટિ્વટર પર પોતાના સત્તાવાર એકાઉન્ટ પર આપવામાં આવી હતી. યાસીર આતંકવાદી સંગઠનના લીડર મસૂદ અઝહરનો નજીકનો સાગરિત હોવાની માહિતી મળી છે. આતંકવાદીઓની ઉપસ્થિતિની માહિતી મળ્યા બાદ મંગળવારના દિવસે સુરક્ષા દળોએ પુલવામા જિલ્લામાં ત્રાલ વિસ્તારમાં લામના વન્ય વિસ્તારોમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ એન્કાઉન્ટરમાં જૈશે મોહમ્મદના ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા જેમાં કમાન્ડર મુફ્તી યાસીર પણ સામેલ છે. ઘટનાસ્થળથી મોટી માત્રામાં હથિયારો વિસ્ફોટકોનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં સેનાના બે જવાનો પણ ઘાયલ થયા હતા. જેમની ઓળખ કરી લેવામાં આવી છે. શહીદ થયેલા જવાનો સિપાહી અજયકુમાર અને કોન્સ્ટેબલ લતીફ ગુજરી હોવાના અહેવાલ મળ્યા છે. આ પહેલા ઉત્તરીય કાશ્મીરના કુપવારા જિલ્લામાં રવિવારના દિવસે સુરક્ષા દળોએ એક આતંકવાદી અડ્ડાને ફૂંકી માર્યો હતો. અહીં પણ મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આતંકવાદીઓ કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા. પોલીસ પ્રવક્તાએ વિગત આપતા કહ્યું છે કે, ગુપ્ત બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોની સંયુક્તટીમે તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદી અડ્ડા પાસેથી હથિયારોની સાથે સાથે વિસ્ફોટકો બનાવવાના સાધન કબજે કરવામાં આવ્યા હતા. રેડિયોસેટ પણ મળી આવ્યા હતા. કારતૂસનો જંગી જથ્થો પણ આળી આવ્યો હતો. આઠ કિલો આઈઈડીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા બાદ વધુ તપાસ કરવામાં આવી રહી છે. ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ જોરદારરીતે ચાલી રહ્યું છે. જેમાં ૨૦૦થી વધુ ત્રાસવાદી માર્યા ગયા છે.
આગળની પોસ્ટ