કોંગ્રેસના સૌથી મોટા અને મજબુત ગઢ ગણાતા અમેઠીમાં રાજકીય ગરમી હવે સતત વધી રહી છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે કોંગ્રેસ અને ભાજપ બન્ને દ્વારા પોત પોતાની આક્રમક રણનિતી પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. જોરદાર રાજકીય તૈયારી વચ્ચે ૧૩મી એપ્રિલના દિવસે કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની અમેઠી પહોંચી રહ્યા છે. તેઓ બે દિવસના પ્રવાસ પર છે. ભાજપ તરફથી જિલ્લા અધ્યક્ષ ઉમાશંકર પાન્ડેએ કહ્યુ છે કે સ્મૃતિ ઇરાની ૧૩ અને ૧૪મી એપ્રિલના દિવસે લોકોની વચ્ચે પહોંચનાર છે. ખાસ કરીને સ્મૃતિ ઇરાની અમેઠીના કઠોરામાં બનનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભૂમિ પુજન માટે પહોંચનાર છે. ગયા વર્ષે ૧૭મી માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલાન્યાસની વિધી કરી હતી. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આક્રમક દેખાઇ રહ્યા છે. એક સપ્તાહની અંદર કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઇરાની અને રાહુલ ગાંધીની યાત્રાના કારણે સામાન્ય લોકોમાં પણ ઉત્સુકતા છે. અલબત્ત રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇને હજુ સુધી કોઇ નક્કર વાત કરવામાં આવી નથી. પરંતુ સુત્રોએ કહ્યુ છે કે રાહુલ ગાંધી અમેઠીમાં નબળા પડી રહેલા સંગઠનમાં નવા પ્રાણ ફુંકવા માટેના પ્રયાસ કરનાર છે. રાહુલ ગાંધી સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ કરી શકે છે. રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણી પહેલા પોતાના કાર્યકરોની પાસેથી તમામ માહિતી મેળવી લેવા માટે ઇચ્છુક છે. રાહુલ નિરીક્ષણ સમિતીની બેઠકમાં પણ હાજરી આપનાર છે. ઉમાશંકર પાન્ડેના કહેવા ુજબ સ્મૃતિ ઇરાની ક્ષેત્રની મહિલાઓદ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરશે. મહિલાઓ દ્વારા લિમડાનુ તેલ તૈયાર કરવામાં આવે છે. તમામ લોકો જાણે છે કે અમેઠીમાં તૈયાર થનાર આ પ્રકારના તેલ પર ગુજરાતની નર્મદા ફર્ટિલાઇઝર્સ કંપનીના કોડ રહેશે. તેમણે કહ્યુ હતુ કે પિપરી ખાતે બની રહેલા બંધની કામગીરીને પણ સ્મૃતિ નિહાળનાર છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણી દરમિયાન અહીંના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. એ વખતે સ્મૃતિ ઇરાનીએ વિશ્વાસ અપાવતા કહ્યુ હતુ કે તે નદી પર બંધની વ્યવસ્થા કરાવશે. સ્મૃતિ ગૌરીગંજમાં નવોદય સ્કુલમાં અમેઠીના પ્રધાનોની સાથે બેઠક પણઁ કરનાર છે. કેન્દ્રિય પ્રધાનના પ્રવાસ પહેલા અમેઠીના ડીએમે કેટલાક જરૂરી સુચન જારી કર્યા છે. બીજી બાજુ રાહુલ ગાંધી પણ બે દિવસની યાત્રા દરમિયાન કેટલાક કાર્યક્રમમાં ખાસ હાજરી આપનાર છે. રાહુલ ગાંધી પોતાના મતવિસ્તારમાં ૧૬મી એપ્રિલના દિવસે પહોચનાર છે. તેઓ કેન્દ્રિય યોજનાઓની સમીક્ષા બેઠક પણ કરનાર છે. સાથે સાથે પાર્ટીના હોદ્દેદારો સાથે તેમની બેઠક થનાર છે. ઉત્તરપ્રદેશમાં રાજકીય ગરમી હાલમાં વધી ગઇ છે. ઉત્તર પ્રદેશ દેશની રાજકીય સ્થિતી માટે સૌથી ઉપયોગી છે. ઉત્તરપ્રદેશમાં સામાન્ય રીતે જોરદાર દેખાવ કરનાર પાર્ટી જ કેન્દ્રમાં સરકાર બનાવવામાં સફળ સાબિત થાય છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે મોદીની લહેર વચ્ચે જોરદાર સપાટો બોલાવ્યો હતો અને પ્રચંડ જીત મેળવી હતી. માયાવતી અને અખિલેશની પાર્ટીના સુપડા સાફ થઇ ગયા હતા. ઉત્તરપ્રદેશમાં હાલમાં યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર રહેલી છે. પાર્ટીના તમામ કાર્યકરોને વર્ષ ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીને લઇને તૈયારીમાં લાગી જવા વડાપ્રધાન મોદી કહી ચુક્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ