સંવેદના સમાજ સામાયિક દ્વારા એક વિચાર ગોષ્ઠી સાથે વીરગતિ પામેલા વીર જવાન અને નિવૃત્ત-સૈનિકોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં સામાજિક આગેવાનો માધાભાઈ બોરીચા, જે. ડી. સોલંકી, સંવેદના સમાજનાં પ્રકાશક કિશોર મકવાણા તથા તંત્રી અનીતા પરમાર, જીલ્લા પ્રમુખ મણીબેન, યુવા લેખક મયુર વાઢેર, પ્રોફેસર પુષ્પાબેન વાઢેર તથા અન્ય સમાજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમમાં કિશોર મકવાણાએ આંબેડકરની વર્તમાન સમયમાં પ્રસ્તુતતા વિષય પર ખુબ સુંદર વક્તવ્ય આપી બાબાસાહેબના ચિંધ્યા માર્ગે ચાલવાનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સંવેદના સમાજનાં તંત્રી અનીતા પરમારે સામાજિક સમસ્યામાં આપણી ભૂમિકા વિષય પર પ્રકાશ પાડ્યો હતો. મયૂરભાઈ વાઢેરે લોકતંત્ર અને ડો. બાબાસાહેબ વિષય પર ખૂબ સુંદર રજૂઆત કરી હતી. તથા પ્રો. પુષ્પાબેન વાઢેરે બાબાસાહેબ મહિલા મુક્તિના પ્રહરી વિષય પર વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમની સૌથી વિશેષતા અને રોમાંચકતા હતી દેશના પ્રહરી એવા આપણા સેવા નિવૃત્ત સૈનિકોનું સન્માન, જેમાં વીર-શહીદ કિશોર વાણવીનાં ધર્મપત્ની તથા માતુશ્રી સન્માન તેમજ નિવૃત્ત સૈનિક જવાનોનું સન્માન કરતાં સંવેદના સમાજ પરિવારે ધન્યતાની લાગણી અનુભવી હતી.
સમગ્ર કાર્યક્રમનાં સુંદર આયોજન કરવા તેમજ સફળ બનાવવા માટે સંવેદના પરિવાર સાથે જોડાયેલા પ્રવિણભાઈ આમહેડા, રાજેશભાઈ ભજગોતર, હિતેશભાઇ ચાંડપા, હરેશભાઈ ધોળીયા ખૂબ જહેમત ઊઠાવી હતી. તથા ડૉ. વીનેશભાઈ બામણીયાએ કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું. સંવેદના પરિવાર સૌનો હૃદયપૂર્વક આભાર માને છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)