ચંપારણ સત્યાગ્રહના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આજે કહ્યું હતું કે, વિકાસની સાથે સાથે દેશમાં શાંતિ અને સદ્ભાવ ખુબ જરૂરી છે. નીતિશકુમારે કહ્યું હતું કે, સ્વચ્છ અભિયાનની સાથે સાથે શાંતિ પણ જરૂરી છે. અમને શાંતિ અને સદ્ભાવનાના સંદેશ આપવા પડશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હતા. મહાત્મા ગાંધીની કર્મભૂમિમાં આયોજિત કાર્યક્રમમાં નીતિશકુમારના આ સંદેશને રામ નવમી ઉપર ભડકેલી સાંપ્રદાયિક હિંસા બાદ ભાજપ અને જેડીયુના સંબંધોમાં ઉભી થયેલી તિરાડના સંદર્ભમાં પણ જોવામાં આવે છે. નીતિશકુમારે કહ્યું હતું કે, ૧૦થી ૧૫ ટકા લોકો પણ જો ગાંધીજીના વિચારોને સ્વીકારી લેશે તો દેશમાં શાંતિ સ્થાપિત થશે. આજે તંગદિલી અને હિંસાના માહોલમાં આ ખુબ જ જરૂરી છે. એકબીજાની ઇજ્જત કરવામાં આવે તે ખુબ જરૂરી છે. ખેંચતાણ વચ્ચે દેશ આગળ વધી શકશે નહીં. રામનવમીના જુલુસ દરમિયાન ભાગલપુરમાં હિંસા ભડકી ઉઠી હતી. આ મામલામાં કેન્દ્રીયમંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અરજીત ચૌબેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ નીતિશકુમારે કહ્યું હતું કે, તેમની સરકાર સાંપ્રદાયિકતાના મામલામાં કોઇ સમાધાન કરશે નહીં. મોદીની ઉપસ્થિતિમાં તેમનું નિવેદન છેલ્લા કેટલાક દિવસથી ઘટનાઓને લઇને સંકેત આપનાર છે. સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ કાર્યક્રમમાં મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.