ઉત્તરાખંડમાં પહેલી જાન્યુઆરી ૨૦૧૫થી હજુ સુધી ૫૧ વખત પ્રચંડ ભૂકંપના આંચકા આવી ચુક્યા છે જે મોટી તબાહી તરફ ઇશારો કરી રહ્યા છે. રિક્ટર સ્કેલ ઉપર વધારે તીવ્રતાના આંકચા આવવાની શક્યતા પણ રહેલી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, રિક્ટર સ્કેલ પર વધારે તીવ્રતા ન હોવા અને આંચકા હળવા હોવાના કારણે તેને ગંભીરતાથી નહી લેવાની બાબત યોગ્ય નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નાના મોટા આંચકા આવવાની સ્થિતિમાં મોટા આંચકા પણ આવી શકે છે. આને લઇને હાલથી જ યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. જો યોગ્ય પગલા નહીં લેવાય તો મોટી તબાહીને ટાળી શકાશે નહીં. રાજ્યના ડિઝાસ્ટર મિટિગેશન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના કારોબારી ડિરેક્ટર પીયુષ રોટેલાએ કહ્યું છે કે, આશરે ૨૦૦ વર્ષ પહેલા એક ખુબ જ તીવ્ર ભૂકંપ બાદથી હિમાચલમાં રિક્ટર સ્કેલ ઉપર ૮ની તીવ્રતાના કોઇ આંચકા નોંધાયા નથી. આજ કારણસર હિમાલયમાં આવેલા વિસ્તારોમાં ખુબ જ ઉર્જા ભરાયેલી છે જે નિકળવા માટેનો રસ્તો શોધી રહી છે. નાના આંચકા તેના પરિણામ સ્વરુપે છે. રોટેલાનું કહેવું છે કે, ૨.૫ અને ૪.૫ની તીવ્રતાના આંચકા અમને ચેતવણી આપે છે કે, અમે એવા વિસ્તારમાં રહીએ છીએ જ્યાં મોટા આંચકા પણ આવી શકે છે. અમને સાવચેતી હંમેશા રાખવી જોઇએ. જો કોઇ પ્રચંડ ભૂકંપ આવશે તો ભારે નુકસાન થશે. વિસ્તારોમાં વસ્તી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્લાનિંગ વગર નિર્માણ કામગીરી કરવામાં આવી રહી છે. પ્લાનિંગ તૈયારી અને અન્ય પગલાઓથી ભૂકંપથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે. તેમણે દાવો કરતા કહ્યું હતું કે, નૈનીતાલમાં આશરે ૧૪ ટકા અને મસુરીમાં આશરે ૧૮ ટકા ઇમારતો એવી છે જે કેટેગરી પાંચમાં આવે છે. એટલે કે જેમને ભૂકંપથી વધારે ખતરો રહેલો છે. ઇમારતો પૈકી અનેક ઇમારતો ૧૯૫૨થી પહેલાની બનેલી છે. રોટેલાના કહેવા મુજબ ભૂકંપ આવવાની સ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ ઇમારતો, હોસ્પિટલ, સ્કુલ અને હોટલો હોય છે. કારણ કે, આમા રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી શકાય છે. જેથી આના નિર્માણના સમયે વધારે સાવચેતી રાખવી જોઇએ. ગયા વર્ષે રાજ્યમાં વૈજ્ઞાનિકોએ બે-બે દિવસના વર્કશોપ બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને ચેતવણીને ધ્યાનમાં લઇને વ્યવસ્થા કરવા અપીલ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, જૂન ૨૦૧૩માં ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટના બાદ વ્યાપક નુકસાન માટે આયોજન વગર વિકાસ કામગીરીને કારણરુપ ગણીને આનો વિરોધ થયો હતો.
આગળની પોસ્ટ