પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, મેઘા પાટકરે હંમેશા ગુજરાતના વિકાસ અને ખેડુતો વિરોધી કૃત્યો કર્યા છે. ગુજરાતે વર્ષોથી મેઘા પાટકર સામે લડાઈ લડી છે. નર્મદા માટે ગુજરાતે સુપ્રિમ કોર્ટ સુધી લડવાનું થયું હોય તો તે માત્રને માત્ર મેઘા પાટકરના પાપે જ થયું છે. સમગ્ર કોંગ્રેસ તેમજ વિપક્ષના નેતા ગુજરાતના નવનિયુક્ત પ્રભારીને વ્હાલા થવા માટે આવી હલકી કક્ષાના નિવેદનો કરીને કોંગ્રેસ પોતાનું પોત પ્રકાશ્યું છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે અને હવે વડાપ્રધાન તરીકે નર્મદા માટે ખુબ મોટી લડાઈ લડ્યા હતા. ખૂબ સંઘર્ષો કર્યા છે. ગુજરાત રાજ્યની જીવાદોરી સમાજ નર્મદા યોજના પૂર્ણ થાય તે માટે ઉપવાસ પર ઉતર્યા હતા, આંદોલનો કર્યા હતા, સાધુસંતો-સામાજીક સંસ્થાઓ તેમજ ગુજરાતની જનતાને સાથે રાખી નર્મદા યોજનાને ઝડપથી પૂરી કરવાના ્પ્રયાસો નરેન્દ્ર મોદીએ કર્યા તે ગુજરાત અને દેશની જનતા જાણે છે. દેશના વડાપ્રધાન બનતા જ માત્ર ૧૭મા દિવસે નરેન્દ્ર મોદીએ દરવાજા મુકવાની મંજૂરી આપી દીધી હતી. કોંગ્રેસે સાત-સાત વર્ષ સુધી મંજુરી આપી નહોતી. માત્રને માત્ર ભાજપાને નર્મદા યોજનાનો જશ ન મળે તે માટે ગુજરાતની જમીન અને જનતાને તરસ્યા રાખવાનું મહાપાપ કોંગ્રેસે કર્યું છે. વાઘાણીએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ હવે ગુજરાતની જનતાની લાગણીઓ, ગુજરાતના વિકાસ અને નર્મદાની આડે ન આવે, કોંગ્રેસ ષડયંત્રો રચવાનું બંધ કરે, દેશની સંસદમાં કોંગ્રેસના નેતાઓ હજુ પણ નર્મદા યોજનાને ખોરંભે ચડાવવાના કાવતરા કરે છે તેને બંધ કરે. નર્મદા બંધના દરવાજા જ્યારે બંધ થવાના હતા તેના બે દિવસ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા ચોરીછુપે નર્મદાના વિસ્થાપિતોને મળવા જાય અને તેના બે દિવસ પછી ગુજરાત વિરોધી અને નર્મદા વિરોધી મેઘા પાટકર ગુજરાતમાં ઘુસવાનો પ્રયાસ કરે અને ગુજરાતમાં તોફાનો થાય, શાંતિ ડહોળાય, ગુજરાતનો વિકાસ રૂંધાય તેવા પ્રયાસો કરનારાનો કોંગ્રેસ આભાર માને તે ખુબ જ દુઃખદ બાબત છે. વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતની જનતાને છેતરવા નીકળી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના પડોશી રાજ્યો સાથે સંકલનનું કામ કર્યું અને રાજ્યની સરકારે બંધના દરવાજા લગાવીને બંધ કરવાનું કામ કર્યું તેનો યશ ભાજપને ન મળે તે માટે કોંગ્રેસ મેઘા પાટકર અને રાજીવ સાતવ માટે અભિનંદનના નિવેદનો કરે તે ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહીં લે અને ૨૦૧૯માં ગુજરાતની જનતા કોંગ્રેસને ચોક્કસથી જવાબ આપશે તેવો આત્મવિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસને ચીમકી આપી હતી કે, નર્મદાના વિરોધમાં હવે એક પણ ડગલું કોંગ્રેસ આગળ વધશે તો અમારે આંદોલનો કરવા પડશે.
પાછલી પોસ્ટ