કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) પેપર લીગ મામલે વિવાદ સતત વધી રહ્યો છે. દિલ્હીમાં આજે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પ્રદર્શન જારી રહ્યું હતું. વિદ્યાર્થીઓએ માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરના આવાસ સુધી માર્ચનું આયોજન કર્યું હતું. ત્યારબાદ જાવડેકરના આવાસની સુરક્ષામાં વધારી દેવામાં આવી હતી. આ મામલે રાજનીતિ પણ શરૂ થઇ ચુકી છે. કાંગ્રેસ પાર્ટીથી સંબંધિત સ્ટુડન્ટ્સ યુનિયન એનએસયુઆઈ પણ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં જોડાઈ ગયું છે. સીબીએસઈ ઓફિસની બહાર રેપિડ એક્શન ફોર્સ (આરપીએફ)ના જવાનોને તૈનાત કરી દેવાયા છે. ઝારખંડના છ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે વિદ્યાર્થીઓએ સીબીએસઈ ઓફિસની બહાર તિરંગા ધ્વજ સાથે પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાના વિરોધમાં સીબીએસઈના અધિકારીઓ સામે જોરદાર નારાબાજી કરી હતી. માત્ર દિલ્હી જ નહીં પરંતુ દેશના અન્ય શહેરોમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓનો વિરોધ એ વાત લઇને છે કે, સીબીએસઈની ભુલોના કારણે તેમને પરેશાન થવું પડે છે. મળેલી માહિતી મુજબ સીબીએસઈના કન્ટ્રોલ ઓફ એગ્જામ્સથી પણ પુછપરછ કરાઈ છે.જાણવા મળ્યું છે કે, હજુ સુધી ૩૦થી વધુ લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરાઈ ચુકી છે. એમાંથી મોટાભાગે કોચિંગ સેન્ટરોમાં ભણે છે અથવા તો ભણાવે છે. આ લોકોથી જોડાયેલા એક ડઝનથી પણ વધુ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવી ચુક્યા છે. કોચિંગ સંચાલક વિક્કીને આજે પણ પુછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. કોચિંગ સંચાલક વિક્કીની ગઇકાલથી પુછપરછ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીએસઈની ધોરણ ૧૦માં ગણિત અને ધોરણ ૧૨માં અર્થશાસ્ત્રના પેપર લીક થવાને લઇને તથા પરીક્ષા ફરી લેવાને લઇને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે. દિલ્હીમાં આજે વિદ્યાર્થીઓએ જંતરમંતર ઉપર દેખાવો કર્યા હતા. સીબીએસઈના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. બીજી બાજુ પોલીસે દોષિત ઉપર કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસને શંકા છે કે, પેપરલીકની પાછળ દિલ્હીના કોચિંગ સેન્ટરોની ભૂમિકા હોઈ શકે છે. ગઇકાલે ગુરુવારના દિવસે બપોરે દ્વારકા, રોહિણી, રાજેન્દ્રનગરમાં કોચિંગ સેન્ટરોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલાના માસ્ટરમાઇન્ડ ગણાતા વિદ્યા કોચિંગ સેન્ટરના માલિક વિક્કીની અટકાયત કરી લેવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે સીબીએસઈ પાસેથી પણ માહિતી મેળવી છે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે સીબીએસઈ પેપર લીક થવાના મામલામાં ગઇકાલે પણ દુખની લાગણી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તપાસ બાદ દોષિત દેખાવનાર વ્યક્તિઓની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપતા કહ્યું છે કે, ભવિષ્યમાં તમામ પરીક્ષાઓ સંપૂર્ણપણે લીકપ્રુફ રહેશે. સીબીએસઈની ધોરણ ૧૨ અને ધોરણ ૧૦માં એક-એક પેપર ફરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે, પેપર લીક કેસની પોલીસ તપાસ નિર્ણાયક તબક્કામાં પહોંચી ચુકી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ