ભારે ભરખમ લોન લઇને વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા લોકો દેશમાંથી ફરાર થઇ ગયા હતા. આવા લોકોની સંખ્યા હવે ન વધે તે માટે સરકાર દ્વારા જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકારે લોન ડિફોલ્ટર્સ કંપનીઓની વિસ્તૃત યાદી તૈયાર કરી લીધી છે. આમા સામેલ થયેલા લોકોને દેશ છોડવા ઉપર બ્રેક મુકવામાં આવી શકે છે. બ્લુમબર્ગ દ્વારા પોતાના રિપોર્ટમાં આ મામલાની માહિતી ધરાવનાર લોકોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, આમાથી એવા ૯૧ ડિરેક્ટર્સ અને માલિકોનો ઉલ્લેખ છે જે ક્ષમતા હોવા છતાં જાણી જોઇને દેવાની રકમ ચુકવી રહ્યા છે. આશરે ૪૦૦ કંપનીઓની ઓળખ વિલફુલ ડિફોલ્ટર્સ તરીકે કરવામાં આવી છે. દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકના ૧૩૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી અબજોપતિ જ્વેલર નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશમાંથી ફરાર થઇ ગયા બાદ મોદી સરકારની સામે લોકોમાં નારાજગી વધી રહી છે. ૯૦૦૦ કરોડ રૂપિયાનું દેવું કરીને ફરાર થઇ ગયેલા વિજય માલ્યાને પણ ફરી પકડીને લાવવામાં સફળતા હાથ લાગી નથી. પીએનબી કૌભાંડ બાદ સરકારે આર્થિક અપરાધોને અંજામ આપી રહેલા અને ફરાર થઇ ગયેલા લોકોની સંપત્તિ જપ્ત કરવાની મંજુરી આપી દીધી છે. આમા એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, ૧૦૦ કરોડથી વધુના આર્થિક અપરાધોમાં સામેલ રહેલા અપરાધીઓની સંપત્તિ તરત જપ્ત કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ૫૦ કરોડથી વધુના દેવા ધરાવતનારના પાસપોર્ટની વિગતો લેવા માટે આદેશ બેંકોને કરવામાં આવ્યા છે. આર્થિક અપરાધોમાં સામેલ રહેલા શખ્સો પર સકંજો મજબૂત કરાયો છે.
પાછલી પોસ્ટ